Essay Archives

અમારા સૌમાં તેઓ અગ્રણી, પરંતુ ક્યારેય એનો હુંહાટો નહીં. યોગીજી મહારાજ એમનો મહિમા કહે, પરંતુ તેમના મુખ પર ક્યારેય એનો અહંકાર નહીં.
૧૯૬૨માં મુંબઈમાં યોગીજી મહારાજે દાદર ખાતે હરિમંદિરની સ્થાપના કરી, તેના મહંત તરીકે મહંત સ્વામી અને કોઠારી તરીકે ભક્તિપ્રિયદાસ સ્વામીને નિયુક્ત કર્યા ત્યારે સૌ સંતોને પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામીનો અપરંપાર મહિમા સમજાવીને તેમની આજ્ઞામાં રહેવાનું યોગીજી મહારાજ પ્રસંગે પ્રસંગે કહેતા રહેતા. ક્યારેક પત્રો દ્વારા, ક્યારેક કથાવાર્તામાં અને ક્યારેક રૂબરૂ વાર્તાલાપોમાં. એકવાર યોગીજી મહારાજે અમને કહ્યું હતું કે તમે મહંત સ્વામી મહારાજની આજ્ઞામાં રહેશો તો સોનાના થઈ જશો. મુંબઈમાં સંતોને સંબોધતાં યોગીજી મહારાજે ઉચ્ચારેલા શબ્દો યાદ આવે છેઃ
‘સાંભળો, વાત કરીએ. આપણા આચાર્ય મહારાજ પ્રમુખસ્વામી છે! અમે પાયા ગાળ્યા, હવે ચણનાર પ્રમુખસ્વામી છે. મહંત સ્વામી આ બધાના રિપોર્ટ પ્રમુખસ્વામીને દેશે. આપણા આચાર્ય પ્રમુખસ્વામી મહિને - બે મહિને આવી જશે. શાસ્ત્રીજી મહારાજ અઠવાડિયે, દસ દી’એ ખંભાત, ભાદરણ જાતા. મહંત સ્વામી અહીંના હેડ છે, તે સૌની સંભાળ રાખશે.’
‘સૌથી મોટા પ્રમુખસ્વામી! હેડ! સૌના મોટેરા પ્રમુખસ્વામી. તે કહે તેમ કરવું. એમની આજ્ઞા પાળીએ તો વૃદ્ધિ પમાય. મહંત સ્વામી કહે તેમ કરવું.’
‘બધા સંતોએ મૂંઝવણ થાય તો મહંત સ્વામીને કહી દેવું. તે ઇન્જક્શન દે, મૂંઝવણ ટાળી નાખે. અહીં અક્ષરધામનું સુખ છે.’
‘તમે જો ભગવાન ભજશો અને પ્રમુખસ્વામી, મહંત સ્વામીની આજ્ઞામાં રહેશો તો સોનાના થઈ જવાના. શેના? સોનાના!’
‘અક્ષરધામમાં જાવું હશે તો છાપ જોઈશે. શ્રીજીમહારાજની છાપ ક્યારે મળે? સંતનો રાજીપો થાય ત્યારે. તે વિના છાપ ન મળે. મહંત સ્વામી જેવો સિક્કો મારી દે પછી પ્રકૃતિપુરુષ સુધી કોઈ આડું આવી ન શકે.’
‘ભગતજી મહારાજ જેવી સ્થિતિ અમારા મહંત સ્વામીની છે, મુંબઈના મહંત સ્વામી. કેશવજીવનદાસ સ્વામી... દર્શન ન કર્યાં હોય તો મુંબઈ કરવા જાવું પડે, એવી સ્થિતિ. કોઈ માન કરે, અપમાન કરે તોય કાંઈ મનમાં લાગે નહીં.’
‘પૂજ્ય નારાયણ સ્વામી(પ્રમુખસ્વામી) અને પૂજ્ય મહંત શ્રી કેશવજીવનદાસજીનો સમાગમ કરીશું તો મહારાજનો સમાગમ થઈ રહ્યો...’
‘આપણા સ્વામિનારાયણ ભગવાન નિર્માની, ગુણાતીત નિર્માની, શાસ્ત્રીજી મહારાજ નિર્માની... એવા નિર્માની આપણે મહંત સ્વામી – કેશવજીવનદાસ સ્વામીને જોયેલા છે. નિર્માની. બહુ ભક્તરાજ. અખંડ બ્રહ્મની સ્થિતિ.’
આમ, યોગીજી મહારાજ સમયે સમયે તેમનો મહિમા ગાતા રહેતા.
યોગીજી મહારાજ કહેતા એવું એમનું નમ્ર અને પવિત્ર જીવન હતું. તેમની નમ્રતા અને સહનશીલતા સૌને ખૂબ સ્પર્શી જતી. એમના જીવનનાં અનેક પાસાંઓ એવાં છે કે જેમાંથી અમને સૌને હમેશાં પ્રેરણા મળતી રહી છે. ઇષ્ટદેવ અને ગુરુના આદેશ પ્રમાણેનું એમનું જીવન. તેઓ બહુ ઓછાબોલા છે, પણ જે બોલે છે તેમાં સારનો સાર હોય છે. બહુ શાંત સ્વભાવ છે. પણ એમની દૃષ્ટિ પણ ઘણું ઘણું કહી જાય આપણને. એમના તરફ જોઈએ તો પણ ખરેખર શાંતિ થઈ જાય, એવું એમનું નિર્મળ જીવન છે.
એમના જીવનમાં ક્યારેય દંભ કે દેખાવ જોયો નથી. જેવા અંદર એવા બહાર. મહંત સ્વામી મહારાજ અંતરની પ્રેરણાથી કામ કરે છે. એટલે એમને બહારના દેખાવની કાંઈ જરૂર પડતી નથી.
એમના જીવન પરથી અનુભવ થાય છે કે તેઓ તો અમાયિક પુરુષ છે, દિવ્ય પુરુષ છે, એમની પ્રત્યેક ક્રિયા કલ્યાણકારી છે. એ જે કરે તે દિવ્ય માનીને સ્મૃતિ કરીએ તો આપણું કામ થઈ જાય.
પ્રમુખસ્વામી મહારાજે આપણને મહંત સ્વામી મહારાજની ભેટ આપીને આપણને સુખી કરી દીધા, નિર્ભય કરી દીધા. પ્રમુખસ્વામી મહારાજે વચન આપ્યું હતું - I will always be with you. (હું હંમેશાં તમારી સાથે રહીશ.)’ એ વચન તેઓએ સંપૂર્ણપણે નિભાવ્યું. અને આજે મહંત સ્વામી મહારાજના રૂપે પ્રગટ રહીને આપણને તેઓ જ લાભ આપી રહ્યા છે.
મહંત સ્વામી મહારાજમાં અનંત ગુણ છે. એમાંથી થોડાક ગુણ આપણામાં આવે તો આપણું કલ્યાણ થઈ જાય. એમના એવા ગુણ આપણામાં લાવવા માટે એમણે જે ગોવર્ધન ઉપાડ્યો છે તેમાં આપણે ભળી જવાનું છે. આજ્ઞાએ કરીને રાજીપો થાય છે અને આપણું જીવન ધન્ય બને છે.
આવા ગુણાતીત મહાપુરુષને જન્મ-મરણ હોતાં નથી, એમનો જન્મદિવસ તો માત્ર એક ઔપચારિક દિન છે. આમ છતાં લોક-વ્યવહાર મુજબ જન્મદિવસે ગમતી વસ્તુની ભેટ આપવાનો એક શિરસ્તો છે; અને મહંત સ્વામી મહારાજની ગમતી વસ્તુ છે - સંપ. તેમને સંપ ખૂબ ગમે છે. સંપ, સુહૃદભાવ, દિવ્યભાવ, નિર્દોષભાવમાં એમની ખૂબ રુચિ છે. તો સમગ્ર સત્સંગના સંતો-હરિભક્તો સંપ-સુહૃદભાવ અને એકતા રાખીશું તો તે તેમનો સાચો જન્મદિવસ ઊજવ્યો ગણાશે.
આવા વિરલ સાધુતા ધરાવતા, વિરલ ગુણાતીત સંતને તેમના જન્મદિવસે કોટિ કોટિ વંદન.

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS