Essays Archives

વિદેશી વિદ્વાનોએ હિંદુઓના ચારિત્ર્યની નખશિખ ચકાસણી કરી હતી અને તે પછી તેમણે પોતાનો અભિપ્રાય બાંધ્યો હતો. એ અભિપ્રાયો વ્યક્ત કરીને તેમણે હિંદુઓની નૈતિકતા અને તેમના ચારિત્ર્યને અજોડ ગણાવીને તેની ભરપૂર પ્રશંસા કરી હતી. એટલું જ નહીં, એ વિદેશી વિદ્વાનોએ હિંદુઓના ચારિત્ર્યનાં મૂળ પણ શોધ્યાં હતાં. એ મૂળમાં સ્મૃતિશાસ્ત્રોનું ખૂબ મોટું પ્રદાન રહ્યું છે, જેમાં નૈતિક-અનૈતિક કાર્યની ઊંડી સમજ છે.
પરંતુ હજારો વર્ષોથી ચાલી આવેલી હિંદુઓની આ પ્રામાણિકતા આટલા બધા યુગો સુધી કેવી રીતે પોષાતી રહી હશે ? માત્ર શાસ્ત્રો દ્વારા? બ્રિટિશ શાસકો અને યુરોપિયનોને માટે આ મોટો મંથનનો વિષય હતો. અને એ મંથનનો એમણે જવાબ પણ મેળવી લીધો.
શાસ્ત્રોમાં કહેલી નૈતિકતાની વાતોને લોકોના જીવનમાં ઉતારવાનું કામ કર્યું હતું સંતો અને મહાપુરુષોએ.
નૈતિકતા તો એક પવિત્ર સંસ્કાર છે. એ પેઢી દર પેઢી સિંચવા પડે છે. અને ભારતીય સંસ્કૃતિની એ એક આગવી વિશેષતા છે કે એને સિંચવા માટે અહીં સમયે સમયે મહાપુરુષો અવતર્યા છે. તેમનો પ્રભાવ જ હિંદુઓની નૈતિક ખાનદાનીના મૂળમાં આજ પર્યંત રહ્યો છે - એ વિષય ગોરા યુરોપિયનો માટે કરિક્યુલમની બહારનો વિષય હતો. પરંતુ પ્રો. મેક્સમૂલરના મંથનનો એ જ જવાબ છે. સતત આક્રમણો, સતત દમન, સતત અત્યાચાર વચ્ચેય હિંદુઓની નૈતિકતા અને આધ્યાત્મિકતાને ટકાવનારા મહાપુરુષો અહીં સતત પ્રગટતા રહ્યા. તેઓ હિંદુઓની પવિત્ર ચેતનાને સંકોરતા રહ્યા, પ્રજ્વલિત કરતા રહ્યા, તે સ્વીકારવું જ રહ્યું.
અનેક આચાર્યો, સંતો, ભક્તકવિઓની એ દીર્ઘ શ્રેણીમાં, ઇતિહાસનાં પૃષ્ઠો પર એક પાવનકારી નામ છે - ભગવાન શ્રી સ્વામિનારાયણ, જેમણે 18મી સદીના અંધકારમય યુગમાં એક ઝળહળતા સૂર્યની પ્રતિભાનો અનુભવ કરાવ્યો હતો. જો કે અહીં એક વાતની ચોખવટ કરવી જોઈએ કે 18મી સદીના ભારતના ઇતિહાસને અમુક ઇતિહાસ-લેખકોએ ‘Darkest period of the History’ તરીકે વર્ણવ્યો છે, એ રાજકીય અંધાધૂંધીના અર્થમાં વિશેષ યોગ્ય હતું. પરંતુ તેનો અર્થ એ નથી કે નૈતિકતાના ક્ષેત્રે પણ એવો જ ગાઢ અંધકાર છવાયો હતો. વિદેશી આક્રમણકારો તેમજ શાસકોના સતત દમન અને ત્રાસને કારણે, સતત ચાલતી સામાજિક દમનનીતિઓને કારણે, જીવન-ગુજરાનની મજબૂરી હોવાથી અમુક જાતિઓમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું હતું, એમાં શંકા નથી. અલબત્ત, પૂર્વે જોયું તેમ અંગ્રેજો અને યુરોપિયનોની સરખામણીએ એ પ્રમાણ ઘણું ઓછું હતું.
18મી સદીના એવા ઉત્તરાર્ધે, એવા લોકોને વશમાં લેવા માટે અંગ્રેજ શાસકો શસ્ત્રો અને દંડનો પ્રયોગ કર્યા પછી પણ નિષ્ફળ પુરવાર થતા હતા, ત્યારે પુષ્પ અને માળાના ધારક ભગવાન શ્રી સ્વામિનારાયણે, પોતાના આધ્યાત્મિક પ્રભાવથી કેવું દિવ્ય કાર્ય કર્યું હતું ? એ સમજવા માટે ઇતિહાસકારોના પના ટૂંકા પડ્યા છે.
લગભગ અઢી હજાર કરતાં વધારે વર્ષોના ઈતિહાસ-પ્રમાણો સાથે આપણે ઘણા અંકોથી જોઈ રહ્યા છીએ કે હિન્દુઓના નૈતિક પ્રભાવથી બિનભારતીય લોકો કેટલા અભિભૂત હતા. પરંતુ હિન્દુઓની નૈતિકતાના પ્રભાવની પાછળ હતું મહાપુરુષોનું અનન્ય પ્રદાન, તેના ઉપર પણ આપણે એક નજર કરી હતી. એવા એક વિરલ મહાપુરુષ હતા, ભગવાન શ્રી સ્વામિનારાયણ.
ભગવાન શ્રી સ્વામિનારાયણના અદ્વિતીય મુદ્રાકર્ષણ અને તેમના દિવ્ય પ્રભાવથી ભારતની પશ્ચિમ ભૂમિ પર એક નૈતિક અને આધ્યાત્મિક સમાજ તૈયાર થયો હતો. 19મી સદીના એ પ્રારંભકાળે તેમણે સમાજમાં નૈતિકતાનાં જે અજવાળાં પ્રસરાવ્યા હતાં, તેનાથી ગુજરાતી સમાજ આજ પર્યંત પ્રભાવિત રહ્યો છે. એટલે જ, ભગવાન સ્વામિનારાયણનાં આ વિરાટ કાર્યને ઈતિહાસ-લેખકોએ જે ભાવાંજલિ અર્પી છે, તેમાં ભગવાન સ્વામિનારાયણની દિવ્ય પ્રતિભા સાથે, સ્વામિનરાયણ સંપ્રદાયના મહાન નીતિ-પ્રસારના કાર્યની એક ઝલક પ્રાપ્ત થાય છે. ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં લંડનથી પ્રકાશિત થતાં એશિયાટિક જર્નલ જેવાં વિખ્યાત સામાયિક અને બ્રિટિશ યુગના ઈતિહાસ લેખક હેન્રી જ્યોર્જ બ્રિગ્સથી લઈને મહાત્મા ગાંધી અને કનૈયાલાલ મુનશી સુધીના ઈતિહાસકારોના દસ્તાવેજી લખાણોમાં ભગવાન સ્વામિનારાયણે કરેલી નૈતિક ક્રાંતિના ભરપૂર પ્રમાણો ભંડારાયેલાં છે.
સગરામ વાઘરી કે જોબન વડતાલા જેવા અનેકનાં આમૂલ પરિવર્તનો કરનાર, અનેક જાતિ-પ્રજાતિઓમાં ખોવાયેલાં મૂલ્યોનું પુનઃ સ્થાપન કરનાર ભગવાન સ્વામિનારાયણને અંજલિ આપતાં મહાત્મા ગાંધીજીએ લખ્યું હતું : ‘જે કાર્ય રાજદંડ નથી કરી શક્યો, અને નહીં કરી શકે તે કાર્ય ગુજરાતમાં એકલા સ્વામિનારાયણે કર્યું હતું.’ (‘ગાંધીવાણી’, સંપાદક – મુરલી ઠાકર, સસ્તું સાહિત્ય મંદિર, પૃષ્ઠ 209)
ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં ઈ.સ. 1823માં લંડનથી પ્રકાશિત એશિયાટિક જર્નલનો રિપોર્ટર નોંધે છેઃ ‘એમના (ભગવાન સ્વામિનારાયણના) જીવનકાળ દરમિયાન, પ્રાંતના શ્રેષ્ઠ બૌદ્ધિકોએ સ્વીકાર કર્યો છે કે એમના ઉપદેશે લોકોનાં નૈતિક ઘોરણોને ઊંચે લાવવામાં ખૂબ મોટી અસર ઉપજાવી છે. મારો પોતાનો સ્થાનિક દેશવાસીઓ સાથેનો વાર્તાલાપ, મને પણ એ જ અભિપ્રાય બાંધવા પ્રેરે છે. ’ (Asiatic Journal, London, 1823, XV, p. 348-349.)
ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં જ સન 1827માં પ્રકાશિત થયેલા પુસ્તકમાં બિશપ રેજિનાલ્ડ હિબર નોંધે છેઃ ‘શાસ્ત્રમાંથી કોઈપણ શીખી શકે તેના કરતાં, ભગવાન સ્વામિનારાયણની નૈતિકતા ઘણી વધુ ઉચ્ચ હતી. તેમણે એટલી ઉચ્ચ પવિત્રતા અને સંયમની ભાવના સિંચી હતી કે તેમના શિષ્યો ત્યાંથી પસાર થતી સ્ત્રીઓ સામે નજર માંડીને જોતા નહીં. અને તેઓ જે જે ગામોમાં, જિલ્લાઓમાં ગયા, જ્યાં જ્યાં તેમને લોકોએ સ્વીકાર્યા, તે લોકો અને સ્થળો પહેલાં હીન કક્ષાના હતાં, તે આજે પ્રાંતમાં શ્રેષ્ઠ કક્ષાનાં છે !’
19મી સદીમાં ભગવાન સ્વામિનારાયણે પોકારેલી નૈતિકતાની એ આલબેલ કેવી પ્રભાવક હતી!
શસ્ત્રો અને લશ્કર વિના માત્ર માળા અને પુષ્પના ધારક ભગવાન સ્વામિનારાયણે 19મી સદીમાં નૈતિકતાનું જે આંદોલન જગાવ્યું હતું તેનો પ્રભાવ તત્કાલીન બ્રિટિશ લેખકોનાં હૈયે ઊંડે ઊંડે સ્પર્શી ગયો હતો. 19મી સદીના મધ્યાહ્નમાં ગુજરાતની યાત્રાએ આવીને તત્કાલીન ગુજરાતને નીરખનાર બ્રિટિશ લેખક હેન્રી જ્યોર્જ બ્રિગ્સ લખે છે : ‘શુદ્ધ હિન્દુ ધર્મની પુનઃસ્થાપના કરવા પૂરતી જ સહજાનંદ સ્વામી(સ્વામિનારાયણ)ની પ્રતિભા સીમિત નહોતી, પરંતુ તે જમાનાનાં પ્રદૂષણો સામે અને સમગ્ર ગુજરાતમાં એ હજારો કમનસીબ માનવીઓના ઉત્કર્ષ તરફ પણ દોરાઈ હતી, અત્યાર સુધી જેમની આજીવિકાનો આધાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર હતો. એવા વિશાળ સમુદાયોને તેમણે પ્રામાણિક અને ઉદ્યમી જીવનના પંથે વાળ્યા છે. એમાંથી આ દિશામાં એમની સફળતાના અનેક પુરાવાઓ મળી રહે છે. અગાઉની પરિસ્થિતિની સરખામણીમાં દેશનું હાલનું શાંત વાતાવરણ એમના માટે ગ્રંથોના ગ્રંથો રચશે.’
એ સમયે કેટલાક પછાત ગણાતા વર્ણો માટે આજીવિકાનો ખૂબ મોટો પ્રાણપ્રશ્ન હતો. જીવનના ગુજારા માટે કોઈ જ માર્ગ ન બચતાં આ વર્ગે અનૈતિક પ્રવૃત્તિઓનો પણ આશ્રય લેવો પડે એવા સંજોગો હતા. અને પરિણામે, એમના પર અનૈતિકતાનું આળ કાયમી બન્યું હતું. ભગવાન સ્વામિનારાયણે આ વર્ણો પરથી એ આળ મિટાવવાનું ભગીરથ કાર્ય કર્યું. કનૈયાલાલ મુન્શી નોંધે છે કે ‘Sahajanand Swami removed irregularities from society and propagated the precepts of knowledge and of morality, he stopped adultery and suffering which were both rampant in those days. Through his efforts, the demoralised classes of Gujarat were uplifted.’ અર્થાત્ ‘સહજાનંદ સ્વામીએ સમાજમાંથી દૂષણો દૂર કર્યાં અને જ્ઞાન અને નીતિની સમજણનાં સાચાં ધોરણો પ્રસરાવ્યાં. તેમણે તત્કાલીન સમાજમાં ખૂબ જ વ્યાપ્ત અનૈતિકતા, વ્યભિચાર અને દુઃખો દૂર કર્યાં. તેમના પ્રયત્નોથી  ગુજરાતનો નીતિભ્રષ્ટ વર્ગ સુધર્યો અને નીતિવાન બન્યો.’
નૈતિક રીતે એમણે સૌને કેવા ઉચ્ચ સંસ્કારોથી સમૃદ્ધ કર્યા હતા! સ્વામિનારાયણીય સંસ્કારોએ આવાં અનેક ઉદાહરણો સર્જ્યાં છે. એક સમયે જેમના માટે પારકી વસ્તુની ચોરી પર જ જીવન નિર્વાહનો આધાર માનવામાં આવતો એવા સગરામની પરિવર્તનની કથા રોમાંચક છે ! કારમા દુષ્કાળમાં એ અને એની પત્ની પોતાનું પેટિયું રળવા કાઠિયાવાડથી ગુજરાત તરફ જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં તેને ચાંદીનો મોટો તોડો મળ્યો. થોડે પાછળ ચાલી આવતી પત્નીને એ લેવાની લાલચ ન જાગે એ હેતુથી એણે તોડા પર ધૂળ વાળી દીધી. પત્નીએ નજીક આવતાં સગરામને એ અંગે પૂછ્યું અને જાણ્યું. ત્યારે એ અભણ સ્ત્રીએ સગરામને ખુમારીથી જવાબ આપ્યો : ‘તમે ધૂળ ઉપર શું ધૂળ વાળી ? ભગવાન સ્વામિનારાયણ મળ્યા ત્યારથી હું પારકી વસ્તુને ધૂળ જ સમજું છું !’
સહજાનંદી અસ્મિતાનો એ રણકાર ઇતિહાસમાં અમર બની ગયો છે. (ક્રમશ:)


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS