ભગવાન સ્વામિનારાયણ કૃપા કરીને આ પૃથ્વી ઉપર પધાર્યા અને અનંત જીવોના કલ્યાણ માટે તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી. પોતે તો ફક્ત ૪૯ વર્ષ જ આ પૃથ્વી ઉપર રહ્યા, પણ પોતાનો સંદેશ સદાય પૃથ્વી ઉપર પ્રવર્ત્યા જ કરે અને તેનાથી અનેક મનુષ્યો સુખી થાય એ માટે એમણે પોતાના ગુણાતીત સંત દ્વારા એમનું કાર્ય ચાલુ જ રાખ્યું છે. ભગવાન સ્વામિનારાયણની એ આધ્યાત્મિક ગુરુ પરંપરામાં તેમના સંકલ્પ મુજબ અવિરતપણે કાર્ય ચાલુ રહ્યું છે. એ પરંપરામાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સત્સંગનો જે વ્યાપ વધાર્યો છે, જે પુરુષાર્થ કર્યો છે, તે તો અજોડ છે જ, પરંતુ તેની સાથે સાથે ભગવાન સ્વામિનારાયણે સંતોના જે પંચવર્તમાન કહ્યાં છે – નિષ્કામ, નિર્લોભ, નિઃસ્વાદ, નિઃસ્નેહ, નિર્માન – એ એમણે પોતાના જીવનમાં સાંગોપાંગ રાખ્યાં છે. આ વાત બહુ કઠણ છે. વાતો કરવી સહેલી છે, એડમિનિસ્ટ્રેશન કરવું સહેલું છે, પણ જે પોતાના ઇષ્ટદેવે જે નિયમો આપ્યાં છે તેમાં રહીને આ રીતે કાર્ય કરવું એ ખરેખરું બહુ કઠણ કાર્ય છે. ભગવાન સ્વામિનારાયણે ગઢડા અંત્ય પ્રકરણના ૨૭મા વચનામૃતમાં કહ્યું છે કે શાસ્ત્રમાં જે નિષ્કામ, નિર્લોભ, નિઃસ્વાદ, નિઃસ્નેહ, નિર્માન – પંચવર્તમાન જે કહ્યાં છે એ જે સંતમાં અખંડ હોય એને અને ભગવાનને સાક્ષાત્ સંબંધ છે. આવા પંચવર્તમાન આદિક શુભ ગુણોથી શોભતા પ્રમુખસ્વામી મહારાજમાં ભગવાન સાક્ષાત્ અખંડ રહ્યા છે એવી આપણને અને અસંખ્ય લોકોને પ્રતીતિ પણ કરાવી. પ્રમુખસ્વામી મહારાજની વિશેષતા એ જ રહી છે કે એમની કોઈ પ્રાઇવેટ લાઇફ હતી જ નહીં. એમનું કોઈ એકાંત જીવન હતું જ નહીં.
જેમ અગરબત્તી પોતે સળગીને સુવાસ પાછળ મૂકતી જાય છે એમ પ્રમુખસ્વામી મહારાજનું જીવન છે. એમની સુવાસ એ આપણને સદાય પ્રેરણા આપતી રહેશે, બળ આપતી રહેશે.
એમનો સમય થયો એટલે એમણે દેહલીલા સંકેલી લીધી. પણ આપણે વિચારીએ કે આ કોનું કાર્ય છે? તો સ્વામિનારાયણ ભગવાનનું. એ સ્વામિનારાયણ ભગવાન વર્તમાન સમયે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ બિરાજે છે. આપણા સૌની પ્રગટની ઉપાસના છે. પ્રગટ પાણી વિના જેમ તરસ ન છીપે, પ્રગટ ભોજન વિના જેમ આપણી ભૂખ ન જાય, એમ પ્રગટ ભગવાન વિના આપણો મોક્ષ થાય નહીં, પણ સ્વામિનારાયણ ભગવાને આવી કરુણા કરી છે કે આવા ગુણાતીત સંત દ્વારા સદા પૃથ્વી પર અખંડ રહ્યા છે.
તેમનું જીવન એની સાક્ષી પૂરે છે.
સન ૧૯૬૦માં ત્રીજી જુલાઈના રોજ મુંબઈમાં યોગીજી મહારાજે અમને દીક્ષા આપી ત્યારથી અમે તેમના ભેગા ને ભેગા જ રહ્યા છીએ. દીક્ષા લીધા બાદ શરૂઆતમાં ઘાટકોપરમાં અને ત્યારબાદ કાંદિવલીમાં અમે ખૂબ સામાન્ય પરિસ્થિતિમાં ઘણી મુશ્કેલીઓ વચ્ચે રહ્યા. ત્યાં યોગીજી મહારાજની આજ્ઞા મુજબ અમે રસોડાની અને અન્ય સેવાઓ સાથે કરતા. ૧૯૬૧માં યોગીજી મહારાજે અમને ૫૧ યુવકોને ભાગવતી દીક્ષા આપી, ત્યારબાદ દાદર મંદિરમાં લગભગ ૧૪ વર્ષ અમે સાથે જ રહ્યા, ઘણી સેવાઓમાં સાથે રહ્યા. અમારા બધામાં મહંત સ્વામી મહારાજ મોટેરા, પરંતુ તેઓ ખૂબ નમ્ર અને સરળ. ઠાકોરજીના થાળ, ઠાકોરજીની આરતી, ઠાકોરજીની વિવિધ સેવાઓ, કથાવાર્તા વગેરેમાં એમને ખૂબ ચીવટ. અમારી સાથે રોટલી કરવામાં જોડાઈ જાય. તેઓ ખૂબ પાતળી અને સુંદર રોટલી વણે. સૌને ખૂબ પ્રેમથી જમાડે. ત્યારબાદ એઠાં વાસણ ઊટકવાની સેવામાં પણ ખૂબ ઉત્સાહથી જોડાય.
અમારી સાથે રહેતા હતા ત્યારે આમ તો એમનું ભોજન સામાન્ય રહેતું, પરંતુ ત્યારબાદ વર્ષો સુધી એમનું ભોજન એટલે એવું ભોજન કે જેમાં ન મીઠું હોય કે ન કોઈ સ્વાદિષ્ટ મસાલા. વર્ષો સુધી એ જ રહ્યું તેમનું ભોજન.
એકવાર સન ૨૦૦૦માં યુ.એસ.એ.થી બાળકો-કિશોરો ભારતયાત્રાએ આવ્યા હતા. બોચાસણમાં મહંત સ્વામી મહારાજ ભોજન કરી રહ્યા હતા, ત્યારે દર્શન કરતાં બાળકોએ પૂછ્યુંઃ ‘આપ શું જમો છો ?’
પોતાના ભોજનપાત્ર(પત્તર)ની બાજુમાં પડેલા થાળ તરફ નિર્દેશ કરીને મહંત સ્વામી મહારાજે પૂછ્યુંઃ ‘ચાખવું છે?’
બાળકો રાજી થઈ ગયા. મહંત સ્વામી મહારાજે થાળમાંથી પરવળનું શાક થોડું લઈને ચમચી દ્વારા એક બાળકને આપ્યું. રાજી થઈને હોંશે હોંશે મોંઢામાં મૂક્યું, અને મૂકતાં જ તેણે થૂ થૂ કરી મોઢામાંથી કાઢી નાંખ્યું, કારણ કે તેમાં કોઈ સ્વાદ જ નહોતો.
બાળકે પૂછ્યુંઃ ‘આપને આવું સાવ સ્વાદ વિનાનું મોળું કેવી રીતે ભાવે છે?’
મહંત સ્વામી મહારાજે ટટ્ટાર થઈને કહ્યુંઃ ‘યોગીબાપા અને પ્રમુખસ્વામી મહારાજ મળ્યા છે એનો કેફ છે. એટલે બીજા સ્વાદની જરૂર નથી.’
આવી તેમની ઘણી સ્વાભાવિકતા અમને સ્પર્શી જતી.