તેમાંય પ્રાણપ્યારા ગુરુહરિ યોગીજી મહારાજને જાતે ગૂંથીને હારથી વધાવવાનો એમનો ઉમંગ કંઈક જુદો જ હતો. સમયે સમયે તેઓ મઘમઘતાં પુષ્પોના ભરાવદાર હાર ગૂંથીને યોગીજી મહારાજને પહેરાવે અને ગુરુભક્તિ અદા કરે. ક્યારેક વિશેષ પ્રસંગોએ યોગીજી મહારાજ પાસે આવતા-જતા હરિભક્તો સાથે તેઓ મુંબઈથી પુષ્પહાર બનાવીને મોકલાવે. ૧૯૬૯ના હરિજયંતી મહોત્સવે એક વખત મહંત સ્વામી તથા સંતોએ મોડી રાત સુધી જાગીને, ગૂંથીને હાર તૈયાર કર્યો હતો. હારના એક એક ફૂલની કળીમાંથી જાણે તેમની ભક્તિની સુવાસ નીતરતી હતી. ૬ ફૂટ લાંબો ને ૧૫ કિલો વજનનો આ બહુ મોટો હાર હરિભક્તો સાથે પ્લેનમાં મુંબઈથી ગોંડલ મોકલ્યો. યોગીજી મહારાજે તે હાર ઘનશ્યામ મહારાજને પહેરાવ્યો. કંઠમાં શોભી રહેલા હાર સહિત મૂર્તિનાં દર્શન કરતાં યોગીજી મહારાજ ધરાતા ન હતા. આ હારની પ્રશંસા કરતાં તેઓ બોલ્યાઃ ‘મહંત સ્વામીની કેટલી ભક્તિ! એક કલાકમાં તૈયાર કરીને પ્લેનમાં મોકલી પણ આપ્યો. એક-એક ફૂલને પાંચ-પાંચ દંડવત્ કરીએ તો ઓછા છે!’ અને યોગીજી મહારાજે ઘનશ્યામ મહારાજ સાથે હારને દંડવત્ પ્રણામ કર્યા!
મહંત સ્વામીના હૃદયમાં યોગીજી મહારાજ જેવી જ ગુરુભક્તિ પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે હતી. યોગીજી મહારાજની છત્રછાયામાં પોતાની જાતને સદા ઢાંકીને વર્તતા પ્રમુખસ્વામી મહારાજનો મહિમા સૌ કોઈ સમજે એ માટે મહંત સ્વામીએ એક વિશિષ્ટ તક ઝડપી લીધી. ૧૯૬૮માં પ્રમુખસ્વામી મહારાજ યોગીજી મહારાજ સાથે મુંબઈમાં બિરાજતા હતા અને યોગાનુયોગ પ્રમુખસ્વામી મહારાજનો જન્મદિવસ તે અરસામાં હતો. તા. ૨૭ નવેમ્બર, ૧૯૬૮ અને માગશર સુદ ૮નો એ દિવસ હતો, પ્રમુખસ્વામી મહારાજ એ દિવસે જીવનના ૪૮મા વર્ષમાં પ્રવેશતા હતા.
આથી, પ્રમુખસ્વામી મહારાજને જાણ પણ ન થાય એ રીતે એમનો ૪૮મો જન્મજયંતી ઉત્સવ, મહંત સ્વામીએ યોગીજી મહારાજના સાંનિધ્યમાં યોજી દીધો. ઉત્સવના દિવસે પ્રમુખસ્વામી મહારાજને તેની જાણ થતાં તેમણે ત્યાંથી બહાર નીકળી જવાની તૈયારીઓ પણ કરી લીધી, પરંતુ યોગીજી મહારાજની આજ્ઞા, મહંત સ્વામી અને સંતોનો પ્રેમ એવાં હતાં કે તેઓએ ન છૂટકે રોકાવું પડ્યું. ખૂબ સંકોચ સાથે પ્રમુખસ્વામી મહારાજ એ પ્રસંગે હાજર તો રહ્યા, પરંતુ પોતાના જન્મજયંતી ઉત્સવ અંગે તેમણે ખૂબ નારાજગી દર્શાવી. આ પ્રસંગે ભાવમય થઈ ગયેલા પ્રમુખસ્વામી મહારાજે ભવિષ્યમાં આવું ક્યારેય ન બને તે માટે સૌને વિનંતી કરી હતી, પરંતુ સાથે સાથે સંબોધન કરતાં તેમણે પોતાના કરતાં ઉંમરમાં ઘણા નાના હોવા છતાં મહંત સ્વામીનો ખૂબ મહિમા કહ્યો હતો. તેમણે કહ્યું હતું: ‘યોગીજી મહારાજે આ સંતો તૈયાર કર્યા છે તેથી મને ખૂબ શાંતિ રહે છે. મહંત સ્વામીનાં દર્શન કરતાં હૃદય ટાઢું થઈ જાય છે. જેમ સદ્ગુરુ પુરુષોત્તમદાસ સ્વામી(ખાનદેશી)નાં દર્શન કરતાં સહુ સંતો-હરિભક્તોને ટાઢું થતું, તેમ આજે મહંત સ્વામીનાં દર્શનથી થાય છે.’
મને મહંત સ્વામી મહારાજનાં પ્રથમ દર્શન ૧૯૫૮માં અમદાવાદમાં શાહીબાગ મંદિરે થયેલાં. તે વખતે તેઓ યોગીજી મહારાજની સાથે પત્ર-લેખનની સેવામાં હતા. ત્યારે તેમની નમ્ર અને શાંત પ્રતિભાથી ખૂબ આકર્ષણ થયું હતું. તે વખતે સાંભળ્યું હતું કે વિનુભગત સાયન્સ ગ્રેજ્યુએટ થઈને સાધુ થયા છે, તેનો મારા મન પર ઊંડો પ્રભાવ પડ્યો હતો. એ સમયે મહંત સ્વામી મહારાજની જેવી નમ્રતા હતી તેવી ને તેવી આજે લાખો લોકોના ગુરુપદે બિરાજતા હોવા છતાં જોવા મળે છે.
પ્રમુખસ્વામી મહારાજ લાખો ભક્તોના ગુરુપદે બિરાજતા હતા, છતાં પણ નાનામાં નાના બાળક, કિશોર, યુવાન, વડીલને બે હાથ જોડીને જ મળતા. એવાં જ દર્શન અત્યારે મહંત સ્વામી મહારાજના જીવનમાં થાય છે. આવા સમર્થ અને લાખોના ગુરુપદે બિરાજતા હોવા છતાં નાનામાં નાના બાળકોને બે હાથ જોડીને જ તેઓ વાત કરે છે. દરેકની આગળ આવી રીતે તેઓ નમ્ર જ રહે છે. ગુણાતીત સત્પુરુષોના જીવનમાં આપણને એક સરખી સામ્યતા દેખાય છે એટલે આ ગુણાતીત વારસો અખંડ છે.
આવા એકાંતિક સંતથી જ એકાંતિક ધર્મ સિદ્ધ થઈ શકે છે. એમના થકી એકાંતિક ધર્મ સિદ્ધ કરી શકીએ એ પ્રાર્થના.