Essays Archives

ક્યારેક નાના નાના વાર્તાલાપોમાં સ્વામીશ્રીના દિવ્ય દૃષ્ટિકોણની અનુભૂતિ થાય છે ત્યારે કૃતાર્થ થઈ જવાય છે. હૈયે સંગ્રહાયેલા એવા કેટલાક પ્રસંગોની સ્મૃતિ...

પ્રેમના પત્રો :

તા. ૨૩-૪-૨૦૧૦, અમદાવાદ.
એ રાત્રે મારે વિદેશના સત્સંગ પ્રવાસે જવા નીકળવાનું હતું. તેથી સાંજે ૬-૩૦ વાગે સ્વામીશ્રીની રજા લેવા હું સ્વામીશ્રીના ઉતારામાં તેઓની રૂમ તરફ ગયો. ઉતારામાં બધું સૂમસામ હતું. લગભગ અંધારા જેવું બધે લાગતું હતું, પણ સ્વામીશ્રીની લાઇટ ચાલુ હતી. ધર્મચરણ સ્વામી સ્વામીશ્રીની સમક્ષ બેઠા હતા અને સ્વામીશ્રી પત્ર વાંચતા હતા. ખૂબ એકાગ્રતાથી પત્રવાંચનમાં તેમને લીન થયેલા જોઈને મને ખૂબ આશ્ચર્ય થયું. હું નજીક ગયો અને મારાથી રહેવાયું નહીં. મેં કહ્યું, 'બાપા! આપને પત્રો તો સતત ચાલુ ને ચાલુ જ હોય છે. આપ થાકતા જ નથી.'
સ્વામીશ્રી કાંઈ બોલ્યા જ નહીં. પત્રવાંચન ચાલુ રહ્યું.
ફરીવાર મેં કહ્યું, 'સ્વામીશ્રી! આપ એટલા બધા કાગળ વાંચો છો કે મને લાગે છે કે કોઈ સરકારી અધિકારી વાંચે એના કરતાંય વધુ કાગળ વાંચો છો.' આ વાત હું પૂરી કરું એ પહેલાં તો સ્વામીશ્રી ઉપર જોઈને મને કહે, 'એય! તો કામના કાગળો નથી. આ તો પ્રેમના પત્રો છે. હરિભક્તોના પત્રો છે. કોઈ કામકાજ નથી, સેવા છે.' સ્વામીશ્રીના મને હરિભક્તોના પ્રશ્નો, પત્રો, એ પ્રેમ અને ભક્તિ છે. એ બોજો નથી.

કળિયુગમાં મોક્ષ :

તા. ૨૪-૯-૨૦૦૯, અમદાવાદ.
સ્વામીશ્રી સાથે કોલકાતાના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના નિર્માણ અંગેની એક મિટિંગ ચાલી રહી હતી. તે દરમ્યાન સ્વામીશ્રીએ પ્રશ્ન પૂછ્યો કે આપણા મંદિરની આગળથી જે નાનો રોડ જાય છે એ મોટો થવાનો?
મેં કહ્યું કે રસ્તો મોટો થવાનો નક્કી થઈ ગયો હતો પણ આજુ બાજુ ના લોકો એકમત થતા નથી અને વાત નક્કી થતી નથી.
એ વાત પરથી વિવેકસાગર સ્વામીએ આધુનિક સમાજનું ચિત્રાત્મક વર્ણન કર્યું. અંધાધૂંધી, અરાજકતા, ખૂન-ખરાબી, અવિશ્વાસ, છૂટાછેડા, વ્યસનો, ઝ ઘડા, કંકાસ... વગેરેનું એવું વર્ણન કર્યું કે વાતાવરણ ગમગીન થઈ ગયું. પછી તેમણે જ જાતે સમાધાન કરી કહ્યું કે, 'શું થાય ? આ તો હળાહળ કળિયુગ છે. તે આવું જ રહેવાનું.' એ દરમ્યાન દુઃખી સ્વરે મેં અચાનક સ્વામીશ્રીને કહ્યું કે, 'બાપા! મને એમ લાગે છે કે હું ખોટો કળિયુગમાં જન્મ્યો... હું સતયુગમાં જન્મ્યો હોત તો સારું...'
પળનાય વિલંબ વગર સ્વામીશ્રી બોલ્યા, 'તો મોક્ષ થાત નહીં.'
એકદમ હું સ્તબ્ધ બની ગયો. વાતને વળી આગળ લઈ જતાં સ્વામીશ્રી કહે, 'તો ક્યારેય મોક્ષ થાત નહીં.' અને પછી હસતાં હસતાં કહે, 'કળિયુગમાં આ પરિસ્થિતિમાં વારંવાર ભગવાન યાદ આવે અને સત્પુરુષ કહે એમ કરીએ તો મોક્ષ થાય. નહીં તો મોક્ષ ન થાય.'
ઘણીવાર આપણા મનમાં ભ્રમણા હોય છે કે યુગ, વાતાવરણ અને પરિસ્થિતિના આધારે ભજન, ભક્તિ અને કલ્યાણ થતું હોય છે, પણ હકીકતમાં ભગવાન અને સંતથી જ મોક્ષ છે, તેથી ગમે તેવો કળિયુગ પણ આપણા માટે સતયુગથીય અધિક જ છે.

મિલિમીટર બાય મિલિમીટર :

તા. ૧૭-૧-૨૦૧૧, મુંબઈ
સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનાં દર્શને વિખ્યાત મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ આઈ.આઈ.એમ.(ઇન્દોર)ના ડાયરેક્ટર શ્રી રવિચંદ્રન્ આવ્યા હતા. સ્વામીશ્રી પ્રાતઃપૂજામાં પધાર્યા અને તેઓના આસનની સામે ઠાકોરજી માટેની પૂજાની પાટ નિર્ભય સ્વામી ગોઠવતા હતા. સ્વામીશ્રીએ જમણા હાથના ઇશારે પાટ થોડી ઉપર લઈ જવાનો નિર્દેશ કર્યો, થોડી ખસેડવાનો નિર્દેશ કર્યો. વળી, ડાબા હાથના ઇશારે ફરી એડજસ્ટ કરાવી. ખૂબ સૂક્ષ્મતાથી પાટ એડજસ્ટ કરાવતા સ્વામીશ્રીની આ સૌ ક્રિયા જોતાં રવિચંદ્રન્ સાહેબ બોલી ઊઠ્યા કે, પ્રમુખસ્વામી મહારાજ પાસે એવું ધૈર્ય અને શક્તિ છે કે પોતાની રોજિંદી ક્રિયા મિલિમીટર બાય મિલિમીટર વ્યવસ્થિત ગોઠવી શકે છે, તો તમારી સંસ્થાને એક ઈંચ પણ ધ્યેયથી ફંટાવા નહીં દે.' ૯૦ વર્ષે પણ આટલી શક્તિ!
આ વાક્ય મારા મનમાં રમતું હતું અને સાંજે હું સ્વામીશ્રીની રજા લેવા ગયો. સ્વામીશ્રી કહે, 'તો વસંતપંચમીએ મળીશું.' મેં કહ્યું કે, 'ક્યારે? વસંતપંચમીની આસપાસ ?'
સ્વામીશ્રી ઠાવકાઈથી કહે, 'કે એવું અસ્પષ્ટ ન બોલવું.'
પછી તેઓ કહે, 'વસંતપંચમીની પહેલાં.' મેં કહ્યું, 'બાપા! ગુજરાતીમાં આસપાસ એવો શબ્દ બોલાય છે.'
સ્વામીશ્રી કહે, 'તમારું ગુજરાતી ગરબડિયું છે. વસંતપંચમીની 'આસપાસ'નો અર્થ 'પહેલાં' પણ થાય અને 'પછી' એવો પણ થાય. મારા વિચારો સ્પષ્ટ હોય છે અને વાણી પણ સ્પષ્ટ હોય છે. પહેલાં પણ થાય અને પછી પણ થાય - એવું નહીં. પહેલાં એટલે પહેલાં. પછી નહીં.'
સ્વામીશ્રીનું ન કેવળ કાર્ય પણ વાણી અને વર્તન પણ મિલિમીટર બાય મિલિમીટર પરફેક્ટ હોય છે, તેથી સંસ્થા અને સત્સંગમાં પરફેક્શન જોવા મળે છે.

ગુરુભક્તિના ભોગે કશું નહીં :

થોડા સમય પહેલાં અમદાવાદમાં સ્વામીશ્રીએ એક તાત્કાલિક મિટિંગ યોજી હતી. નિશ્ચિત સમયે મિટિંગના તમામ સંત સભ્યો આવી ગયા હતા. કોઈક કારણસર માત્ર એક નારાયણમુનિ સ્વામી નહોતા આવી શક્યા. સૌ તેમની રાહ જોતા હતા. થોડીવારે તેઓ આવ્યા ત્યારે આછુ  સ્મિત રેલાવતાં અને જમણી આંગળીથી ચોકડી કરી સ્વામીશ્રી કહે, 'મુનિ! ફેઈલ.'
આ સંદર્ભમાં મને એવું લાગ્યું કે મોડું થયું છે એટલે ઝ ડપ કરવા માટે મેં મિટિંગના પ્રારંભમાં બોલાતી ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ પરંપરાની જય ટૂંકાવી. 'સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષરપુરુષોત્તમ મહારાજની જય, પ્રમુખસ્વામી મહારાજની જય.' સ્વામીશ્રી મારી સામે જોઈ હસતાં હસતાં જમણી આંગળીથી ચોકડી કરી કહે, 'બ્રહ્મવિહારી ફેઈલ.' પછી ફરીથી સંપૂર્ણ જયનાદ બોલાવડાવી શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની પણ જય બોલાવડાવી મિટિંગ શરૂ કરી. એક સ્પષ્ટ નિર્દેશ મળી ગયો કે, સ્વામીશ્રીને બધું જ કાર્ય સમયસર કરવું ગમે છે, પણ સાંપ્રદાયિક પ્રણાલિકાના ભોગે નહીં, ગુરુભક્તિના ભોગે નહીં, ભજન ભક્તિના ભોગે નહીં...

જવાબ જડી ગયો :

તા. ૧-૯-૨૦૧૧, મુંબઈ
તા. ૩૧-૮-૨૦૧૧ના દિવસે અમેરિકામાં નિર્માણ પામનારા અક્ષરધામનો શિલાપૂજનવિધિ સ્વામીશ્રીના હસ્તે સંપન્ન થયો હતો. એના બીજે દિવસે સવારે ૧૦-૩૦ વાગે એક કાર્ય માટે સ્વામીશ્રી ઈશ્વરચરણ સ્વામી અને હું ત્રણ જણા બેઠા હતા.
મેં કહ્યું, 'બાપા! બે દિવસથી મને ખૂબ આનંદ છે.'
સ્વામીશ્રીએ પૂછ્યું, 'કેમ?'
'કારણ કે, વર્ષોથી જે અમે આપને એક પ્રશ્ન પૂછીએ છીએ તેનો જવાબ મળી ગયો!' મેં કહ્યું.
'કયો?' સ્વામીશ્રીએ પૂછ્યું.
'આપનો આગવો સંકલ્પ! આપને જ્યારે પૂછીએ ત્યારે આપ આપનું દરેક કાર્ય યોગીબાપાના સંકલ્પ તરીકે ગણાવી દો છો. એ આપની ગુરુભક્તિ છે! લંડનના મંદિર અંગે આપ તેમ કહો તે સમજાય! ગાંધીનગરનું અક્ષરધામ કહો તે સમજાય, દિલ્હીનું અક્ષરધામ યમુનાના કિનારે હોવાના કારણે યોગીબાપાનો સંકલ્પ ગણાવી શકાય... પણ... અમેરિકાનું અક્ષરધામ એ તો આપનો સ્વતંત્ર સંકલ્પ કહેવાય! એમાં યોગીબાપાનો સંકલ્પ ન કહેવાય!'
એકદમ ઠાવકાઈથી... અદબ વાળી આછુ  આછુ સ્મિત રેલાવતાં સ્વામીશ્રી કહે, 'કેમ ન કહેવાય? તેં યોગીબાપાને સંકલ્પ કરતા જોયા છે? ઈશ્વરચરણ સ્વામીએ જોયા છે! કેમ ઈશ્વર સ્વામી?'
ઈશ્વરચરણ સ્વામી કહે, 'હા બાપા!'
સ્વામીશ્રી કહે, 'યોગી બાપા રોજ સંકલ્પ કરતા, ધૂન કરતા... સાધુ વધો... સત્સંગ વધો... મંદિરો વધો... સાધુ વધો... મંદિરો વધો...' એટલું કહીને મારી સામે ઝ íણી આંખો કરી પૂછ્યું : 'એનો અર્થ શું થયો? મંદિરો વધો એટલે બધાં મંદિરો આવી ગયાં... દેશનાં... પરદેશનાં... તમામ મંદિરો બધાં જ આ સંકલ્પના પેટા સંકલ્પ કહેવાય! તો દેશમાં જે નવાં મંદિરો થાય, વિલાયતમાં જે નવાં મંદિરો થાય... અને છેક ચંદ્ર પર થાય તે બધાં જ યોગીબાપાના જ સંકલ્પ કહેવાય! મંદિરો વધો... તેમાં આજના અને ભવિષ્યનાં બધાં જ મંદિરો આવી ગયાં!'
ઈશ્વરચરણ સ્વામી મને સંબોધીને કહે,'પણ ત્રણે સ્વરૂપ એક જ છે ને! શાસ્ત્રીજી મહારાજ સંકલ્પ કરે, યોગીબાપા સંકલ્પ કરે કે સ્વામીબાપા સંકલ્પ કરે એ બધા એક જ છે!'
સ્વામીશ્રી કહે, 'એ તો બરાબર છે, ઈશ્વર સ્વામી... પણ હું જે રીતે કહું છુ તે પણ બરાબર છે...'
હું એકદમ અવાક્ થઈ ગયો. સ્વામીશ્રીની જે ગુરુભક્તિ છે તે ઉપર છલ્લી નથી. તેમાં ઊંડો વિચાર છે. ઘણીવાર તેઓ અમને કહે છે અથવા લખે છે કે 'તમે યોગીબાપાના સંકલ્પે સાધુ થયા છો...' ભલે અમે યોગીજી મહારાજને મળ્યા પણ ન હોઈએ પણ સ્વામીશ્રીના મતે 'સાધુ વધો'માં અમે યોગીજી મહારાજના સંકલ્પમાં આવી ગયા! સ્પષ્ટ શ્રદ્ધા, ભક્તિ અને તર્ક આધારિત આ સમજણ છે.
સ્વામીશ્રીએ પોતાનાં ભવિષ્યનાં, તમામ કાર્યો યોગીબાપાને અર્પણ કરી દીધાં અને પરમેનન્ટ પેટન્ટ્સ રાઇટ્સ આપી દીધા.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS