Essay Archives

સામાન્ય માનવ વિભૂતિ ક્યારે બની શકે?
જ્યારે એ સામાન્યપણું છોડીને અસામાન્ય બને ત્યારે, જ્યારે એનામાં મહાનતા પ્રગટે ત્યારે.
મહાનતા વેચાતી મળતી નથી, ખેતરમાં ઉગાડી શકાતી નથી, પરંતુ એ વિભૂતિ પુરુષોના કદમ ચૂમતી આવે છે કારણ કે એમની પાસે સદ્ગુણોનો ભંડાર હોય છે. એ જ છે વિભૂતિ પુરુષોનો વૈભવ ! એ વૈભવ એમની જીવનભરની સાધનાનો પરિપાક હોય છે.
આ સંસારમાં આપણી વચ્ચે જ રહીને ઘૂમતા-ફરતા આ ઓલિયાઓની જીવનશૈલી આપણા કરતાં ખાસ અલગ નથી હોતી, પરંતુ એમનો આંતરિક વૈભવ હિમાલય કરતાં પણ ઊંચો હોય છે. છેલ્લી એક સદીથી આપણી વચ્ચે રહીને, ઈશ્વરના ચરણે જીવન સમર્પિત કરી દીધું હોવા છતાં, આપણા સૌના માટે પોતાના જીવનની ક્ષણેક્ષણ ને લોહીનો કણેકણ વાપરી જનારા મહાપુરુષ હતા - પ્રમુખસ્વામી મહારાજ.
The higher you go, the higher is the level of courtesy; and the higher is the level of courtesy, the higher you go - જેમ જેમ વિનમ્રતા વધતી જાય છે એમ મહાનતા પણ વધતી જાય છે. પ્રમુખસ્વામી મહારાજે પોતાના જીવન દ્વારા આ સિદ્ધાંતને સાબિત કરી બતાવ્યો છે. ઈ.સ.૧૯૮૨માં એમના વિદેશના ધર્મ પ્રવાસની શરૂઆત થઈ લંડનના હીથ્રો એરપોર્ટ ઉપરથી. શ્રી દાદુભાઇ પટેલ ખૂબ ઉમંગભેર જાજરમાન રોલ્સ-રોઈસ ગાડી લઈને એમને વિમાન ઉપર તેડવા આવેલા. સ્વામીશ્રી ગાડીની આગલી બેઠકપર બેઠા. દાદુભાઇ જમણી બાજુની બેઠક પરથી ગાડી ચલાવતા હતા. પાછળની બેઠક પર ચાર સહયાત્રીઓ ગોઠવાઈ ગયેલા. આ વિશાળ એરપોર્ટમાંથી ગાડીને સલામત રીતે બહાર લઈ જવા માટે એક અંગ્રેજ ભોમિયા પણ આવેલા હતા, પરંતુ પ્રશ્ન એ થયો કે એ ક્યાં બેસે? ગાડીમાં તો કોઇ જગ્યા જ બાકી નહોતી. સ્વામીશ્રીએ આ જોયું કે તરત એક ક્ષણના પણ વિલંબ વગર તેઓ આગલી બે બેઠકની મધ્યમાં આવેલ ગિયરબોક્સ ઉપર બેસી ગયા અને ભોમિયાને પોતાની સીટ ઉપર બેસાર્યા. જેનું સ્વાગત કરવા રોલ્સ-રોઈસ ગાડી આવેલ તે બેઠા ગિયરબોક્સ ઉપર, અને પોતાની બેઠક ઉપર બેઠા બીજા. જોવાની ખૂબી એ હતી કે સ્વામીશ્રી આમ કરતી વખતે એટલા સહજ રીતે વર્તતા હતા કે શું બની ગયું એનો કોઈને ખ્યાલ પણ ન આવ્યો.
તારીખ 24-1-74. મુંબઈ. બીજે દિવસે સ્વામીશ્રી વિદેશની ધર્મયાત્રાનો પ્રારંભ કરવાના હોવાથી આજે પોદાર કોલેજના હોલમાં વિદાય-સભા આયોજીત થઈ હતી. આ સભામાં પ્રખર વક્તા પૂજ્ય શ્રી ચિન્મયાનંદજી પણ ઉપસ્થિત રહેવાના હતા. તેના અનુસંધાનમાં સ્વામીશ્રીએ પહેલેથી જ આયોજકોને સૂચના આપેલી કે ‘બંને આસન- એટલે કે પોતાનું અને અતિથિને બેસવાનું- એકસરખાં જ કરવાનાં છે તે ધ્યાન રાખજો.‘ જ્યારે પણ કોઈ સંત-મહાત્મા સભામાં આવવાના હોય ત્યારે તેઓની આ કાયમી આજ્ઞા રહેતી. મુંબઈમાં આવા જ એક પ્રસંગે એક સંત-મહાત્મા અણધાર્યા જ આવી ચડ્યા. એમના માટે બીજું સારું આસન લાવવું શક્ય દેખાતું નહોતું. ત્યારે સ્વામીશ્રી તરત જ પોતાના આસન ઉપર ખસી જઈને એકદમ ખૂણામાં બેસી ગયા અને અતિથિ સંતને પોતાના આસન ઉપર વ્યવસ્થિત રીતે માન સહિત બેસાર્યા. નિર્માનીપણે વર્તવું એ એમનો સહજ સ્વાભાવિક ગુણ હતો.
પચાસ-સો માણસો જ્યારે પોતાનું નિરીક્ષણ કરી રહ્યા હોય ત્યારે સદ્ગુણી દેખાવાનો પ્રયત્ન કોઈ પણ માણસ કરવાનો. પરંતુ જીવનના કણેકણમાં નિર્માનીપણું વણાયેલું હોય, એ ત્યારે જણાય કે જ્યારે છેક નાની વયથી જ એ વ્યક્તિ નિર્માનીપણે વર્તતી હોય. પ્રમુખસ્વામીને એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજે દીક્ષા આપી ત્યાર પછીના થોડા વર્ષો એમણે એક નાના સાધકની જેમ મંદિર બાંધકામની તનતોડ મજૂરી-સેવા કરીને અને સંસ્કૃતનો અભ્યાસ કરીને વિતાવેલા. પરંતુ એમનામાં છુપાયેલી દિવ્ય પ્રતિભાને ગુરુ ઓળખી ગયેલા. આથી  શાસ્ત્રીજી મહારાજે પ્રમુખસ્વામીને ૨૮ વર્ષની કુમળી વયે વિશ્વવ્યાપી બોચાસણવાસી અક્ષર-પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ (એટલે કે મુખ્ય વહીવટકર્તા અને સત્તાધીશ) બનાવ્યા. આના દ્વારા પ્રમુખસ્વામી સંસ્થાના તમામ વડીલ સંતો અને તમામ હરિભક્તોના ઉપરી બની ગયા હતા. પરંતુ પ્રમુખ તરીકેના એમણે કરેલ પ્રથમ ઉદબોધનમાં સત્તાની સ્વીકૃતિનો એક છાંટો પણ દેખાયો નહીં, ઊલટાનું એમણે તો માત્ર પ્રાર્થના કરી કે, ‘ મારામાં જે શક્તિ જ્ઞાન અને પ્રેરણા છે તે બધું જ આપે આપેલું છે. હું આજે આપ ગુરુશ્રી સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે મારું કર્તવ્ય બરાબર બજાવવા આપની સંસ્થાને મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર રહી આપનો કૃતકૃત્ય બનીશ.‘ કરોડો ભાવિકોના હૃદયમાં ગુંજતું થયેલું નામ ‘પ્રમુખસ્વામી‘ જે દિવસે અસ્તિત્વમાં આવ્યું એ દિવસે સ્વામીશ્રીના પ્રથમ ઉદગારોમાં  નિર્માનીભાવ, દાસભાવ, સેવકભાવના મેહુલા વરસ્યા. એની પરાકાષ્ઠા તો ત્યારે આવી કે જ્યારે આ સભા પૂર્ણ થઇ ત્યારે ઉપસ્થિત તમામ હરિભક્તોને જમાડવામાં આવેલાં. એ બધાનાં એંઠાં વાસણ પ્રમુખસ્વામીએ એકલા હાથે જ ઊટકી કાઢ્યાં. The Servant Leader તરીકે એમણે કરેલી આ પ્રમુખપદની પ્રથમ સેવા હતી. દુનિયાના કયા પ્રમુખની કારકિર્દી આવી સેવાથી શરૂ થઈ હશે!
પુસ્તકોના વાંચન દ્વારા સદ્ગુણોની માહિતી ચોક્કસ મળે, પરંતુ એને આત્મસાત્ કરવા માટે એ સદ્ગુણો જેમણે જીવનમાં ઉતાર્યા હોય એમનું જીવન જ પ્રેરણા આપી શકે. એટલા માટે આ વિભૂતિ વૈભવ જાણવો અને માણવો જરૂરી છે.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS