Essays Archives

૧૯૮૨માં સ્વામીશ્રી લંડનથી મુંબઈ પધાર્યા ને ત્રીજે દિવસે જ વૈશાખની ધીખતી ગરમીમાં મહારાષ્ટ્રનાં ગામડાંઓમાં વિચરણ માટે નીકળી ગયા હતા. એક તરફ લંડનનું ઠંડું વાતાવરણ અને બીજી તરફ અહીંની અસહ્ય ગરમી. ગરમીમાં ફરતાં ફરતાં સ્વામીશ્રી વરખેડા પધાર્યા હતા. ગામમાં વીજળી ન હોવાને કારણે ફાનસને અજવાળે જ સભા થઈ. સ્વામીશ્રી પણ ફાનસને અજવાળે પત્ર લેખન કરતા ગયા. ચેષ્ટા બાદ રાત્રે ૧૧.૧૫ વાગે આરામમાં પધાર્યા ત્યારે પણ વીજળી આવી નહોતી. અસહ્ય ગરમીને લીધે સ્વામીશ્રીને જરા પણ ઊંઘ ન આવી. પડખાં ફર્યા કરે, થોડી વારે ઊઠ્યા. લઘુપાણી કરી ફરીથી સૂતા. પણ ઊંઘ તો ન જ આવી. રાત્રે ૨.૦૦ વાગ્યા હતા. ગરમી ખૂબ હતી. આથી મારી વિનંતીથી તેઓ ખુલ્લા સ્થળે સૂવા પધાર્યા. ખાનદેશના મકાનોની સળંગ માટીથી નક્કર કરેલી છતની ઉપર અગાશી જેવા સ્થળે ખુલ્લા આકાશ નીચે અમે બંને થઈને આસન પાથર્યું. સ્વામીશ્રી આડે પડખે થયા. પણ પવન તદ્દન પડી ગયેલો. મચ્છરોનો ત્રાસ તો અસહ્ય હતો. તેથી ફરી બેઠા થયા. ત્યાં કમોસમનાં છાંટણાં શરૂ થયાં. સ્વામીશ્રી ફરી ઓરડામાં પધાર્યા. ઊંઘ તો વેરણ થઈ હતી. ૩.૩૦ નો સુમાર થયો એટલે જાતે ઊભા થયા. હાથ ધોવાનો લોટો લઈને અગાસીમાં ગયા. આ અગાસીઓ આખી શેરી સુધી સળંગ હોય તેથી ગામના છેડે સુધી જઈ શકાય તેમ હતું. મેં સ્વામીશ્રીને અગાશીમાં જતા જોયા હતા તેથી હમણાં પાછા ફરશે એવા વિચારથી પાછળ જવાનું ટાળ્યું હતું. પણ દસ મિનિટ-પંદર મિનિટ થઈ ગઈ. હજુ સ્વામીશ્રી દેખાયા નહીં. તેથી હું બહાર નીકળ્યો. દૂર સુધી ટોર્ચથી પ્રકાશ ફેંક્યો પરંતુ સ્વામીશ્રી જણાયા નહીં. હું ગભરાયો. તરત ધર્મચરણ સ્વામીને ઉઠાડ્યા : 'ઊઠો, સ્વામી દેખાતા નથી!' અમે બંને બે-ત્રણ અગાશીઓમાં શોધવા નીકળી ગયા. પણ સ્વામી દેખાયા નહીં. વીસેક મીનિટ તપાસ કરી. એક પછી એક બધા સંતોને ઊઠાડવા માંડ્યા. સૌ આખા વરખેડા ગામમાં ફરી વળ્યા. સૌની ગભરામણનો પાર નહોતો. શું હશે? ક્યાં ગયા હશે?

ગામની ભાગોળે અમે ગયા ત્યાં લોટો લઈને સ્વામીશ્રીને સામેથી આવતા જોયા. અમે એકદમ દોડ્યા. પ્રશ્નોની ઝડીઓ વિસ્મય અને ચિંતામાંથી ઘૂંટાઈ ઘૂંટાઈને વરસી પડી. ક્યાં ગયા હતા? કોઈને લઈ ગયા હોત તો? કાંઈ થઈ જાત તો? અહીંયા તો સાપેય ફરતા હોય છે!'... સ્વામીશ્રીના સ્વસ્થ અને શાંત વ્યક્તિત્વમાંથી જ એના ઉત્તરો સ્રવતા હતા.

સ્વામીશ્રી ઉતારે નાનકડી ચોકડીમાં નાહવા બેસી ગયા. આ સરળતાની- વિચરણના ભીડાની હદ હતી. વિદેશયાત્રાનો જેટલેગ ઊતર્યો નહોતો. અહીંના હવામાનને અનુકૂળ સ્વાસ્થ્ય બને તે પૂર્વે તો ઠંડીના પ્રદેશોમાંથી ૪૫ ડિગ્રી ગરમી ફેંકતા વિસ્તારમાં વિચરણમાં આવી ગયા હતા. ભોજન અને આરામમાં અંતરાય થાય ત્યાં પેટની તકલીફ પણ થાય જ. સ્નાન બાદ કંઈક કળ વળી. પ્રાતઃપૂજા પછી ધૂળિયા જવા નીકળી ગયા! આવા ભીડામાં પણ એમના મનની સ્થિરતા અદ્‌ભુત હતી.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS