ભારતીય સનાતન સંસ્કૃતિમાં શાસ્ત્ર પરંપરા એક આગવું સ્થાન ધરાવે છે. આપણા જીવનનાં માર્ગદર્શક આ શાસ્ત્રો માનવને સાચો માનવ બનવાની પ્રેરણાઓ આપતાં આવ્યાં છે. ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના જીવનકાળ દરમિયાન પરમહંસો પાસે અનેક શાસ્ત્રોનું નિર્માણ કરાવ્યું હતું. એ જ સનાતન શાસ્ત્ર પરંપરામાં પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજે એક અનેરું પુષ્પ ઉમેર્યું, વર્ષ ૨૦૨૦માં.
તારીખ ૩૦ જાન્યુઆરી ૨૦૨૦, વસંતપંચમીના પવિત્ર દિવસે નવસારી ખાતે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજે કલમ અને કાગળ લઈને એક વિશિષ્ટ યજ્ઞ આરંભ્યો. એ હતો, ‘સત્સંગદીક્ષા શાસ્ત્ર લેખન યજ્ઞ’. ભગવાન સ્વામિનારાયણથી લઈને ગુણાતીત ગુરુઓએ સમયે સમયે કરેલી અનેક આજ્ઞાઓ, અક્ષરપુરુષોત્તમ ઉપાસનાની સ્પષ્ટતાઓ, સાંપ્રદાયિક રીતિઓ વગેરે મુદ્દાઓને મનમાં રાખી મહંતસ્વામી મહારાજે ગુજરાતી ભાષામાં એક પછી એક શ્લોક લેખનની શરૂઆત કરી.
૮૭ વર્ષની ઉંમરે ગુરુહરિ મહંતસ્વામી મહારાજે સતત ૬૪ દિવસ સુધી ‘સત્સંગદીક્ષા’ શાસ્ત્રનું લેખન કરીને ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યપર્વે, તારીખે ૨ એપ્રિલ ૨૦૨૦ના રોજ અમદાવાદ ખાતે આ શાસ્ત્રના લેખનની પૂર્ણાહુતિ કરી. અને ત્યાર બાદ ગુરુહરિ મહંતસ્વામી મહારાજે ગુજરાતીમાં લખેલ આ શાસ્ત્રનું મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી દ્વારા સંસ્કૃતમાં ભાષાંતર કરવામાં આવ્યું. ‘સત્સંગદીક્ષા એ મહારાજનું સ્વરૂપ છે’, ‘શ્રીજી મહારાજ અને ગુરુપરંપરાના મનમાં જે હતું એ જ સત્સંગદીક્ષામાં લખાયું છે’, ‘સત્સંગદીક્ષા શાસ્ત્રની હજારો તુલા કરીએ તો પણ ઓછી છે’ – વગેરે મહિમા વચનો દ્વારા મહંતસ્વામી મહારાજે આ શાસ્ત્રનો અનેરો મહિમા પણ ગાયો.
નેનપુર ખાતે તારીખ ૫ જુલાઈ ૨૦૨૦, ગુરુપૂર્ણિમાના પર્વે ગુરુહરિ મહંતસ્વામી મહારાજે આ શાસ્ત્ર સૌને અર્પણ કર્યું, એ જ સમયે તેઓએ તમામ બાળ-બાલિકાઓ, કિશોર-કિશોરીઓ અને યુવક-યુવતીઓને આ શાસ્ત્રનો મુખપાઠ કરવાની આજ્ઞા કરી હતી. તેઓએ મુખપાઠનો મહિમા ગાતાં લખ્યું, ‘સત્સંગદીક્ષાનો મુખપાઠ = અક્ષરધામ.’
એ પછી સમયે સમયે ગુરુહરિ મહંતસ્વામી મહારાજે ‘સત્સંગદીક્ષા’ ગ્રંથના શ્લોકોનો સંસ્કૃતમાં મુખપાઠ કરવાની આજ્ઞા કરી. અને એ જ શૃંખલામાં તારીખ ૨૫ ઓક્ટોબર ૨૦૨૫ના દિવસે ગોંડલ તીર્થસ્થાનમાંથી તેઓએ એક ઐતિહાસિક પત્ર લખ્યો.
ગુરુહરિ મહંતસ્વામી મહારાજે પોતાનો સંકલ્પ લખતાં પત્રમાં જણાવ્યું કે, ‘આપણા બધા જ બાળ-બાલિકાઓ સંસ્કૃતમાં સત્સંગદીક્ષા ગ્રંથનો મુખપાઠ કરે.’ તેઓએ ‘આવતી દિવાળી’ એટલે કે એક વર્ષ સુધીમાં ૧૦,૦૦૦ બાળ-બાલિકાઓને સંસ્કૃત ભાષામાં આ ગ્રંથનો મુખપાઠ કરવાની આજ્ઞા કરી! તેઓની આ આજ્ઞાથી BAPS સંસ્થાની વિશ્વવ્યાપી બાળપ્રવૃત્તિમાં આરંભાયું એક વિશિષ્ટ અભિયાન... જેનું નામ હતું, ‘મિશન રાજીપો’! પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ અને પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજને રાજી કરવાના એકમાત્ર ધ્યેય સાથે આરંભાયેલું આ મિશન કેવું અનેરું હતું? આવો, તેની વિરલ ગાથાને માણીએ...
ગુરુહરિ મહંતસ્વામી મહારાજના આદેશથી બાળપ્રવૃત્તિના ૧૦૩ સંતો અને ૧૭,૦૦૦થી વધુ બાળ-બાલિકા કાર્યકરો દ્વારા આયોજનબદ્ધ પુરુષાર્થ શરૂ થયો. બાળકો સારી રીતે મુખપાઠ કરી શકે તે માટે ગ્રંથની સમજૂતિ સાથેનાં પુસ્તકો, મુખપાઠમાં સરળતા રહે તે માટે માર્ગદર્શક ઑડિયો-વીડિયો પ્રકાશનો તૈયાર થયાં. કાર્યકરો-સંતો દ્વારા બાળકોના વાલીઓનો સંપર્ક કરી મુખપાઠનો મહિમા સમજાવવામાં આવ્યો. સંસ્થામાં ચાલી રહેલાં ૮,૫૦૦થી વધુ બાળ-બાલિકા મંડળોમાં તેમજ પરાસભા અને રવિસભાઓમાં સત્સંગદીક્ષા ગ્રંથ મુખપાઠ માટે ઉદ્ઘોષ સભાઓનું આયોજન થયું. ઓનલાઈન પોર્ટલ દ્વારા બાળ-બાલિકાઓનું રજીસ્ટ્રેશન શરૂ થયું અને ગણતરીના દિવસોમાં જ દેશવિદેશના બાળમંડળો, સંસ્થા સંચાલિત વિદ્યામંદિરોનાં કુલ ૪૦,૦૦૦થી વધુ બાળ-બાલિકાઓએ ઉત્સાહથી ‘મિશન રાજીપો’માં રજીસ્ટ્રેશન કરાવી દીધું!
કુલ ૪૦,૦૦૦ બાળ-બાલિકાઓનું રજીસ્ટ્રેશન તો થઈ ગયું, પરંતુ આ બધા બાળકોને મુખપાઠ કરાવવો એ સામાન્ય કાર્ય નહોતું. કારણ કે, ગુરુહરિનું વચન અદ્ધર ઝીલવામાં મુખ્ય ૪ પડકારો ઊભા હતા.
- પહેલો પડકાર હતો – હાલની પ્રાયોગિક શિક્ષણ વ્યવસ્થાને કારણે બાળકોને મુખપાઠ કરવાનો ખાસ મહાવરો રહ્યો નથી.
- બીજો પડકાર – સંસ્કૃત ભાષામાં મુખપાઠ કરવાનો હતો, જે ભાષાનો બાળકોને લેશમાત્ર પરિચય નહોતો.
- ત્રીજો પડકાર – સમયમર્યાદા. ગુરુહરિ મહંતસ્વામી મહારાજે માત્ર એક જ વર્ષમાં આટલા બધા બાળકોને મુખપાઠ કરાવવાની આજ્ઞા કરી હતી, જે સર્વથા અશક્ય લાગતું હતું.
- અને ચોથો પડકાર હતો – બાળકોની ચંચળતા. જે બાળકો આજે ટી.વી., મોબાઈલ, સોશિયલ મીડિયા કે રમત-ગમતમાં રચ્યાં-પચ્યાં રહેતાં હોય, તેમની પાસે મુખપાઠ કરાવવાનો હતો!
આ તમામ પડકારો જોતાં ‘મિશન રાજીપો’ સફળ થવું, સૌને ખૂબ જ અઘરું લાગતું હતું. પરંતુ આ તમામ પડકારો ઝીલવા માટે બાળ-બાલિકા કાર્યકરો તૈયાર થયાં. એકેએક કાર્યકરે મહંતસ્વામી મહારાજનાં બાળમુક્તો પાસે મુખપાઠ કરાવવા માટે કમર કસી. વિવિધ આયોજનો કર્યાં.
- મુખપાઠ કરવાથી યાદશક્તિ-સમજણશક્તિમાં થતા ફાયદાઓ, એકાગ્રતામાં વધારો થવો, વગેરેની જાણ બાળકો અને વાલીઓને કરવામાં આવી.
- અનેક જગ્યાએ વ્યક્તિગત રીતે બાળકોને તૈયારી કરાવવામાં આવી. વડોદરામાં ટ્રેનર રાખવામાં આવ્યા. ચાણસદના બાલિકા કાર્યકરોએ એક્શન સાથે મુખપાઠ કરાવવાનો શરૂ કર્યો. બારડોલીના બાલિકા કાર્યકરોએ વાર્તાઓ યાદ રખાવીને મુખપાઠ કરાવ્યો.
- મુંબઈ જેવી અનેક જગ્યાએ અર્થ સમજીને મુખપાઠ થાય તે માટે ઓનલાઈન કે ઓફલાઈન ક્લાસીસ શરૂ થયા. ‘Kahoot’ જેવી digital quiz અને રસપ્રદ રમતો દ્વારા પણ મુખપાઠ શરૂ થયો.
- બાળકો અને વાલીઓને પ્રગતિનો ખ્યાલ આવે તે માટે અમદાવાદના બાળકાર્યકરોએ ‘લીડરબોર્ડ’ બનાવ્યું, તો કાંદીવલીના કાર્યકરોએ ‘રાજીપો મીટર’ મૂક્યું. ‘ડેશબોર્ડ’, ‘પોસ્ટર્સ’, ‘મોટીવેશનલ રીલ્સ’ કે ‘લાઈવ સેશન’ યોજીને ઠેર ઠેર બાળકો અને વાલીઓને બળ આપવામાં આવ્યું.
- ક્યારેક કોઈ બાળક થાકી જાય કે કંટાળી જાય તો સંતો-કાર્યકરો દ્વારા ‘પર્સનલ કાઉન્સેલિંગ’ પણ કરવામાં આવ્યું.
- આ મિશન બાળકો સાથે જોડાયેલું હતું. બાળકોને બોજ ન અનુભવાય તે માટે રમતાં રમતાં મુખપાઠ કરવા પર ભાર મૂકાયો. તે માટે ક્રિકેટ ટુર્નામેન્ટ, આનંદ નગરી, રાજીપાનો મેળો, ઓનલાઈન ગેમ્સ કે પછી અટલાદરા, ચાણસદ, નેનપુર, ગાંધીનગર અક્ષરધામ, માઉન્ટઆબુ, પોલો ફોરેસ્ટ વગેરે જગ્યાએ પ્રવાસોના આયોજનો પણ થયા. આમ, આનંદ કરતાં કરતાં મુખપાઠ થતો રહ્યો.
- સમગ્ર વર્ષ દરમિયાન બાળકોનો શાળાનો અભ્યાસ પણ ખોરવાય નહીં, તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું. અનેક જગ્યાએ મુખપાઠની સાથે સાથે અભ્યાસના વર્ગો પણ યોજાયા. બાળકોને ફ્રિમાં ટ્યુશન પણ મળ્યું અને સાથે મુખપાઠ પણ થયો. મુખપાઠ સારી રીતે થઈ શકે તેવી રીતો બાળકોને શીખવવામાં આવી, જેનો ઉપયોગ તેઓ અભ્યાસમાં પણ કરતા થયા.
- વેકેશન એટલે તો મોજમજાનો સમય! નાનાં-મોટાં સહુ કોઈ ફરવા નીકળી જાય. પરંતુ આ વર્ષે બાળ-બાલિકા કાર્યકરોએ વેકેશનમાં વ્યક્તિગત કાર્યક્રમો ઠેલ્યા અને બાળકો માટે વિવિધ આયોજનો કર્યાં. બાળકોને વેકેશનના સમયનો સદુપયોગ થાય, ગમ્મત સાથે જ્ઞાન મળે એ માટે બાળ-બાલિકા શિબિર, મુખપાઠ યજ્ઞો, મુખપાઠની છાવણીઓ, બાળ-બાલિકા વિકાસ પર્વો કે Children development camp પણ યોજાયા. જેમાં બાળકોને મુખપાઠની સાથે-સાથે જીવનલક્ષી માર્ગદર્શન અને મોજમજા પણ મળ્યા.
- બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે વિવિધ ઇનામોની લ્હાણી પણ કરવામાં આવી. જેનો મુખપાઠ પૂર્ણ થાય તેનું વિશિષ્ટ રીતે અભિવાદન પણ કરવામાં આવ્યું.
કાર્યકરો દ્વારા આયોજનો તો થાય, પરંતુ જો બાળ-બાલિકાઓ પુરુષાર્થ ન કરે તો મુખપાઠ કેવી રીતે થઈ શકે? બાળ-બાલિકાઓએ ગુરુહરિને રાજી કરવા માટે સખત મહેનત કરી. કેટલાક બાળકો ખૂબ જ નાના હતા, વાંચતા-લખતા પણ ન આવડે. તેમ છતાં તેઓએ સાંભળી-સાંભળીને મુખપાઠ કર્યો! કોઈએ ફરવા જવાનું ઠેલ્યું, તો કોઈએ લગ્નપ્રસંગમાં પણ મુખપાઠ શરૂ રાખ્યો! ટી.વી., મોબાઈલ, સોશિયલ મીડિયા વગેરેનો ત્યાગ કરીને આ બાળકો મુખપાઠના સુમાર્ગે ચાલ્યા. તો કેટલાંય બાળ-બાલિકાઓએ મુખપાઠ ન થાય ત્યાં સુધી ચોકલેટ, ચીઝ, કેક, મીઠાઈ વગેરે ભાવતી વાનગીઓનો ત્યાગ કર્યો!
કોઈએ શાળાએ આવતાં-જતાં મુખપાઠ કર્યો, તો કોઈકે ‘ફ્રી પિરીયડ’માં ધમાલ-મસ્તી છોડ્યા! કોઈએ વહેલાં જાગીને મુખપાઠ કરવાનું શરૂ કર્યું, તો કોઈએ શારીરિક પ્રશ્નો વચ્ચે પણ મુખપાઠ જતો ન કર્યો! કોઈને નજીકના સંબંધીનું મરણ થયું, તો અમુક બાળ-બાલિકાઓએ ‘મેન્ટલી રિટાર્ડેડ’ની તબીબી પરિસ્થિતિની સામે ચાલીને પણ મુખપાઠ આદર્યો! આ બધામાં સમજણસ્થિરતા રાખીને બાળ-બાલિકાઓએ મુખપાઠની શ્રદ્ધા ન ગુમાવી. શાળામાં પરીક્ષા હોય કે પ્રોજેક્ટ્સ હોય ત્યારે તો આ બાળકોએ વિશેષ મહેનત કરી. શાળાનું હોમવર્ક કે તૈયારીઓ પૂરી કરીને રાત્રે જાગીને પણ બાળ-બાલિકાઓએ મુખપાઠ કર્યો. આમ, સમગ્ર વર્ષ દરમિયાન તમામ બાળ-બાલિકાઓના મનમાં એક જ વાત ગુંજતી રહી, ‘ગુરુહરિનો રાજીપો.’
બાળ-બાલિકાઓની સાથે બાળ-બાલિકા કાર્યકરોએ પણ તન, મન, ધન અને સમયથી અનેરું સમર્પણ કર્યું. આ તમામ બાળ-બાલિકા કાર્યકરો અભ્યાસ કે નોકરી-ધંધો કરી રહ્યા હોય, તેની સાથે ઘર-પરિવારની જવાબદારીઓ હોય, કૌટુંબિક-વ્યાવહારિક પ્રસંગો પણ સાચવવાના હોય...
આ બધાની સાથે કાર્યકર તરીકે દર અઠવાડિયે બાળ-બાલિકા સભાનું આયોજન કરવાનું હોય, અન્ય સેવાઓ હોય... આ તમામ પરિસ્થિતિઓની ખેંચતાણ વચ્ચે પણ કાર્યકરોએ બાળ-બાલિકાઓનો વ્યક્તિગત સંપર્ક કરી, તેમને પ્રોત્સાહન આપી, તેમના પ્રશ્નો દૂર કરીને મુખપાઠ કરાવ્યો.
કાર્યકરોની સાથે વાલીઓનું પણ સમર્પણ ઓછું નહોતું. કુલ ૪,૫૦૦થી વધુ બાળ-બાલિકાઓ એવા હતા જેઓની ઉંમર ૩ થી ૭ વર્ષ સુધીની હતી. આટલાં નાનાં શિશુઓને વાંચતા-લખતા તો શું, કેટલાંકને સરખું બોલતા કે પોતાની ક્રિયાઓ જાતે કરતા પણ ન આવડે. આવા નાનાં શિશુઓ પાસે મુખપાઠ કરાવવો એ વાલીઓની શ્રદ્ધાની કસોટી હતી. પરંતુ માતા-પિતાઓએ પોતાના સમય અનુકૂળ કરીને, સાંસારિક-વ્યાવહારિક પ્રસંગો, વ્યક્તિગત આયોજનો વગેરે ઠેલીને પણ બાળકો માટે સમય આપ્યો. પોતાનાં સંતાનોને ગુરુહરિનો રાજીપો પ્રાપ્ત થાય તે માટે પોતે સમયનો ભોગ આપીને સૌને મુખપાઠ કરાવ્યો.
આ તમામ બાળકોએ સત્સંગદીક્ષાના ૩૧૫ સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ કરવાનો હતો. દર અઠવાડિયે કાર્યકરો આ બાળ-બાલિકાઓનું ફોલો-અપ લેતા હતા. દર ૧૦ શ્લોક પૂરા થાય એટલે કાર્યકરો તેમાંથી કોઈપણ શ્લોકનો મુખપાઠ લઈને તે શ્લોકોને વધુ દૃઢ કરાવે! બાળ-બાલિકાઓએ કેટલા શ્લોકોનો મુખપાઠ કર્યો – તે ‘મિશન રાજીપો’ પોર્ટલ પર નોંધાતું જતું હતું. એક વખત સંપૂર્ણ ૩૧૫ શ્લોકનો મુખપાઠ થઈ જાય, એટલે સંસ્થા દ્વારા નક્કી કરેલા નિર્ણાયકો દ્વારા તે બાળક કે બાલિકાનો સંપૂર્ણ સત્સંગદીક્ષા ગ્રંથનો મુખપાઠ લેવામાં આવતો હતો. અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ગુરુપરંપરાની પ્રતિમા સામે રજૂ થતો આ મુખપાઠ ખરેખર તો બાળકો ને કાર્યકરોની વિશિષ્ટ ભક્તિ હતી. આ જ ભક્તિભાવથી સંપૂર્ણ મુખપાઠ થાય, ત્યારે સૌ આ બાળકોનું અભિવાદન કરી તેમને વધાવતા હતા.
આ રીતે તમામ બાળ-બાલિકાઓ, બાળ-બાલિકા કાર્યકરો અને વાલીઓના પુરુષાર્થના બળે તારીખ ૨૦ ઓક્ટોબર ૨૦૨૫, દિવાળીના દિવસે સમગ્ર BAPS સંસ્થાના કુલ ૧૫,૬૬૬ બાળ-બાલિકાઓએ સત્સંગદીક્ષાનો સંપૂર્ણ મુખપાઠ કરી ગુરુહરિ મહંતસ્વામી મહારાજના ચરણે ભક્તિ અર્ઘ્ય અર્પણ કર્યું! આ ખરેખર આશ્ચર્ય જ સર્જાયું હતું...
કોઈ એક સંસ્કૃત ગ્રંથનો... તે ગ્રંથના રચયિતાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં... ૧૫,૬૬૬ બાળ-બાલિકાઓએ... માત્ર ૧ વર્ષના ટૂંકા ગાળામાં... સંપૂર્ણ ૩૧૫ શ્લોકનો મુખપાઠ કર્યો હોય... તેવી આ ઘટના કદાચ ઈતિહાસમાં આ પ્રથમ જ હશે. આથી જ, આ તમામ બાળ-બાલિકાઓ અને તેમના વાલીઓ અને કાર્યકરોને વધાવવા માટે આયોજન થયું, ‘મિશન રાજીપો અભિવાદન મહોત્સવ’નું!

‘મિશન રાજીપો અભિવાદન મહોત્સવ’

૨૮,૨૯ ઓક્ટોબર ૨૦૨૫, ગોંડલ

ગુરુહરિ મહંતસ્વામી મહારાજના અંતરની ઇચ્છા હતી કે બાળકોએ કરેલો ‘ધાણી ફૂટે તેવો’ મુખપાઠ સાંભળવો છે. આ માટે તારીખ ૨૮ અને ૨૯ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ સ્વામીશ્રીની પ્રાતઃપૂજા દરમિયાન મુખપાઠ કરેલ બાળ-બાલિકાઓ, તેમના વાલીઓ અને કાર્યકરો માટે ખાસ મુખપાઠ સત્રનું આયોજન ઓનલાઈન માધ્યમથી કરવામાં આવ્યું હતું.
દેશવિદેશનાં તમામ મુખ્ય શિખરબદ્ધ મંદિરો અને કેન્દ્રોમાં મુખપાઠ કરેલાં બાળ-બાલિકા વિદ્વાનો ભારતના સમય મુજબ વહેલી સવારે સફેદ ગણવેશમાં આવી પહોંચ્યા હતા. તેઓનાં આ શ્વેત વસ્ત્રો ઉપર સ્વામીશ્રીના હસ્તાક્ષરમાં ‘અક્ષરપુરુષોત્તમના વિદ્વાન’ લખેલો ખેસ શોભતો હતો. તમામ કેન્દ્રોમાંથી અમુક પ્રતિનિધિ બાળકો સ્વામીશ્રી પાસે ગોંડલ આવી પહોંચ્યા હતા.
ગોંડલ આવેલા પ્રતિનિધિ બાળકોએ મુખપાઠની વિશિષ્ટ રીતે રજૂઆત કરવાની હતી. જે દરમિયાન જે-તે સેન્ટરના બાળકો સ્વામીશ્રી સમક્ષ ગોઠવાયેલ વિશાળ સ્ક્રીન પર દૃશ્યમાન થઈ રહ્યા હતા. પ્રાતઃપૂજા દરમિયાન બાળકોએ કરેલી રજૂઆતો ખરેખર આશ્ચર્ય પમાડે તેવી હતી. આ બાળકોએ એવો મુખપાઠ કર્યો હતો કે જ્યાંથી, જે રીતે, જે કંઈ પણ પૂછવામાં આવે, તેની રજૂઆત બાળકો સહજતાથી કરી શકતા હતા.
તારીખ ૨૮ ઓક્ટોબરના રોજ સ્વામીશ્રીએ પ્રાતઃપૂજા માટે સ્થાન ગ્રહણ કર્યું કે તરત જ બાળકોનો મુખપાઠ શરૂ થતો હતો. જેમાં અમદાવાદના ૩ વર્ષથી શરૂ કરીને ૧૩ વર્ષ સુધીના કુલ ૧૬૦૦ જેટલા બાળ-બાલિકાઓએ ઉંમર પ્રમાણે એક પછી એક શ્લોકની રજૂઆત કરી હતી; રાજકોટના બાળકોએ ઘડિયાળમાં દર્શાવવામાં આવતા સમયે કઈ ક્રિયા કરવી જોઈએ, તેના શ્લોક ઉચ્ચાર્યા; ભાવનગર અને સારંગપુરના બાળકોએ બાળ-યૌવન-પ્રૌઢ અને ત્યાગી અવસ્થાના શ્લોક કહ્યા; મહેળાવ, બોચાસણ, આણંદ અને નડિયાદના બાળકોએ એક મિનિટમાં સૌથી વધુ શ્લોક ઉચ્ચાર્યા; વિદ્યાનગર, હિંમતનગર, મહેસાણાના બાળકોએ ‘રેપિડ ફાયર રાઉન્ડ’ના આધારે શ્લોક રજૂ કર્યા; જૂનાગઢ, ભૂજ, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગરના બાળકોએ સત્સંગદીક્ષા ગ્રંથનું જે પાનું ખૂલે તેના શ્લોક લલકાર્યા; ગોંડલના બાળકોએ નંબર પ્રમાણે શ્લોક કહ્યા; મુંબઈના બાળકોએ તો ગણિતના સૂત્રો ઉકેલીને જે ક્રમાંક પ્રાપ્ત થાય, તે ક્રમાંકના શ્લોકની રજૂઆત સ્વામીશ્રી સમક્ષ કરી હતી!!! તેઓની એક પછી એક થતી રજૂઆત જોનાર સહુ કોઈને મંત્રમુગ્ધ કરી દેનારી હતી. ગુરુહરિ મહંતસ્વામી મહારાજ પણ આ બાળકોની રજૂઆત તલ્લીન થઈને સાંભળી રહ્યા હતા.
ગુરુહરિ મહંતસ્વામી મહારાજે આ તમામ બાળકો પર અંતરના આશીર્વાદ વરસાવતા તારીખ ૨૮ના પ્રાતઃ આશીર્વાદમાં જણાવ્યું, ‘ખરેખર, તમને બધાને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. તમે બધાએ કમાલ કરી દીધી છે. તમે બધાએ મુખપાઠ તો કર્યો પણ હવે એ મુખપાઠને આગળ લઈ જવાનો છે. આટલે અટકવાનું નથી. આગળને આગળ લઈ જવાનું છે.’ આમ કહી સ્વામીશ્રીએ બાળકોને એક પોપટની વાર્તા કહી. જેમાં પોપટનું બચ્ચું ‘બિલ્લી આયે તો ભાગ જાના’ મુખપાઠ કરી લે છે, પરંતુ જ્યારે ખરેખર બિલાડી આવે છે ત્યારે ઊડતું નથી. તે વાત સમજાવી સ્વામીશ્રીએ સૌને કહ્યું કે, ‘તમે બધાએ સુંદર મુખપાઠ કરી લીધો, પણ હવે એને સમજીને જીવનમાં ઉતારીએ તો તમને મજા મજા આવશે… અને અમે તમારા પર ખૂબ રાજી થઈશું.’
એ જ રીતે તારીખ ૨૯ ઓક્ટોબરના રોજ પ્રાતઃપૂજા દરમિયાન સુરતના એક સાથે ૧૬૯૩ બાળ-બાલિકાઓએ વૈદિક શૈલીમાં સમૂહ ગાન સાથે મુખપાઠ રજૂ કર્યો, ત્યારે પ્રાચીન ગુરુકુળનું દૃશ્ય ખડું થઈ ગયું; નાગપુર, દિલ્હી, પૂના, ધૂલિયાના બાળકોએ વિષય પ્રમાણે મુખપાઠની રજૂઆત કરી; વડોદરાના બાળકોએ પદાર્થ જોઈને શ્લોકનો મુખપાઠ રજૂ કર્યો; તો તીથલના બાળકોએ શબ્દ પરથી શ્લોકગાન કર્યું!; ગાંધીનગરના બાળકોએ તો ‘પ્રેક્ટિકલ’ જીવનમાં પ્રશ્નોના જવાબમાં સત્સંગદીક્ષાના શ્લોક સમજાવીને સૌને સમસ્યાના સમાધાન રૂપે સત્સંગદીક્ષાનો મહિમા સમજાવ્યો; જ્યારે ગોધરા, બોડેલી, સેલવાસ, નવસારી અને સાંકરીના બાળકોએ ઉપનિષદ, વેદ, વચનામૃત, સ્વામીની વાતો કે પરમહંસોના પદોના સંદર્ભો સાથે મુખપાઠ રજૂ કર્યો; ભરૂચના બાળકોએ સત્સંગદીક્ષાના શ્લોકની અંતાક્ષરી રજૂ કરી; તો પરદેશના વિવિધ દેશના બાળકોએ વિવિધ ભાષામાં સત્સંગદીક્ષાના શ્લોક મુખપાઠરૂપે રજૂ કર્યા!
આ તમામ રજૂઆતના અંતે સ્વામીશ્રી સમક્ષ ૨ બાળકોને લાવવામાં આવ્યા. ભાદરા પાસેના નંદપુર ગામનો ૯ વર્ષનો બાળક શ્રેય પ્રશાંતભાઈ ચાંગાણી અને મુંબઈનો ૧૧ વર્ષનો બાળક જૈનમ હરેશભાઈ સોંડાગર. આ બંને બાળકોએ સત્સંગદીક્ષાનો સંપૂર્ણ મુખપાઠ કર્યો હતો. પરંતુ કેવી પરિસ્થિતિમાં?! આ બંને બાળકો અંધ હતા! આંખે કંઈ જ દેખાતું ન હોવા છતાં, સત્સંગદીક્ષાના શ્લોકનો મુખપાઠ તેઓએ સાંભળી સાંભળીને કર્યો હતો!!!
સ્વામીશ્રીએ સૌને આશીર્વાદ આપતાં જણાવ્યું, ‘તમે તો કમાલ કરી દીધી. સંસ્કૃતમાં ૩૧૫ શ્લોકનો મુખપાઠ કરવો, એ ખૂબ કઠીન કામ છે. સપનેય ખ્યાલ ન આવે, કોઈ સાહસ જ ન કરે કે અંધ બાળક પણ મુખપાઠ કરે. આ તો ધાણી ફૂટે તેના કરતા પણ વધારે ભડકો કર્યો. એટલે તમને બધાને તો ખાસ ખાસ ધન્યવાદ આપવામાં આવે છે.’ આટલા આશીર્વાદ આપી સ્વામીશ્રીએ દૂબળીભાઈની વાર્તા કહેતાં સમજાવ્યું કે, ‘દૂબળીભાઈ હતા તો દૂબળા, પણ નાની પાડીને દરરોજ અગાસી પર ચડાવતા હતા તો જાડીપાડી મોટી ભેંસ થઈ ત્યારે પણ ચડાવી શક્યા. તેમ આપણે પણ રોજ જો સત્સંગદીક્ષાનું રિવિઝન કરીશું તો બળિયા થતા જશો. તમને ખબર નહીં પડે અને સત્સંગદીક્ષા પ્રમાણે આપણું જીવન બનતું જશે. એ મુદ્દો છે. માટે રોજ ૪૫ શ્લોકનું રિવિઝન કરવું. આ રીતે કરશો તો અમે તમારી ભેગા ને ભેગા રહીશું.’ તમામ બાળકોએ સ્વામીશ્રીને રિવિઝન કરવાનું વચન આપ્યું.
આ રીતે બંને દિવસની પ્રાતઃપૂજા દરમ્યાન કુલ ૪૫ જેટલા સત્સંગ કેન્દ્રોનાં તમામ બાળ-બાલિકાઓએ ઓનલાઈન માધ્યમથી સ્વામીશ્રીની પ્રાતઃપૂજા દર્શનનો લાભ માણ્યો.
સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રસરે તેવા શુભ આશયથી સંસ્થાના ૩૦થી વધુ સત્સંગ કેન્દ્રોમાં ‘સત્સંગદીક્ષા હોમાત્મક યજ્ઞ’નું આયોજન થયું હતું. સ્વામીશ્રીનાં પૂજાદર્શન બાદ તમામ બાળ-બાલિકાઓ યજ્ઞકુંડ પાસે ગોઠવાયા. બાળકો અને બાલિકાઓ માટે અલાયદા યજ્ઞકુંડનું આયોજન દરેક જગ્યાએ થયું હતું. જેથી બાળકો અને બાલિકાઓ સારી રીતે યજ્ઞમાં જોડાઈ શકે.
સત્સંગદીક્ષાના એક-એક શ્લોકના સમૂહપાઠ બાદ યજ્ઞનારાયણને આહૂતિ આપવામાં આવતી હતી. આ યજ્ઞનો ધ્યેય હતો – વિશ્વમાં શાંતિની સ્થાપના થાય; જ્ઞાતિ-જાતિ, વર્ણ-વર્ગ વગેરે તમામ ભેદભાવ ભૂલી સમસ્ત સમાજમાં એકતાનું સિંચન થાય; અને માનવતાની ભાવના વધુ મજબૂત બને. યજ્ઞની પવિત્ર ધૂમ્રસેરો સાથે નાનાં-નાનાં બાળ-બાલિકાઓના મુખેથી ગુંજતા સંસ્કૃત શ્લોકોએ વાતાવરણમાં પવિત્રતા અને શાંતિનો સંદેશ ફેલાવ્યો હતો.
સંસ્થાના સદ્ગુરુ સંતો, વડીલ સંતો, હરિભક્તો અને બાળ-બાલિકાઓએ સત્સંગદીક્ષા હોમાત્મક યજ્ઞમાં ખૂબ જ ઉત્સાહથી જોડાઈને અનેરો લાભ પ્રાપ્ત કર્યો હતો.
ગુરુહરિ મહંતસ્વામી મહારાજને રાજી કરવા માટે સમગ્ર વર્ષ દરમિયાન બાળ-બાલિકા કાર્યકરોએ કરેલાં સમર્પણનું સ્મરણ કરી મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી તારીખ ૨૮ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ સાંજે ‘મિશન રાજીપો કાર્યકર અભિવાદન સભા’ યોજાઈ હતી. આ સમારોહમાં સંસ્થાના દરેક કેન્દ્રોમાંથી કાર્યકરો ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા.
કાર્યકર અભિવાદન સભાનો મધ્યવર્તી વિચાર હતો – ‘રેતીમાં ચાલ્યાં વહાણ’. સ્વામીશ્રીએ કરેલા ૧૦,૦૦૦ બાળ-બાલિકાઓને માત્ર એક વર્ષમાં સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ કરાવવાનો સંકલ્પ ખરેખર રેતીમાં વહાણ ચલાવવા જેટલો દુષ્કર હતો. જેની ભાવાત્મક રજૂઆત કાર્યકરો દ્વારા સંવાદ, નૃત્ય, વિડીયો શો, એનિમેશન વિડીયો, પ્રસંગ વર્ણન વગેરેના માધ્યમથી ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી હતી. ગુરુહરિ મહંતસ્વામી મહારાજે સતત એક કલાક સુધી કાર્યકરોએ કરેલી આ પુરુષાર્થ ગાથાને નિહાળી હતી, જેના અંતે સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં જણાવ્યું હતું, ‘તમે બધાએ ખરેખરો ભીડો વેઠ્યો છે. કેવા કેવા સંજોગો… બીજા હોય તો ૧૦-૧૦ વખત હિંમત હારી જાય. પણ તમે કરી બતાવ્યું છે! તમને શું કહેવું? એ શબ્દ જડતા નથી. ગજબ કરી દીધો તમે! પણ હવે અમારા કહ્યા વગર તમે બધા આગળ ને આગળ મુખપાઠ કરાવતા રહેજો. આગળ ને આગળ વધવા તૈયાર રહેજો… કોઈ પાછા પગલાં ભરવાના નથી. તમને ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ!’
સ્વામીશ્રીએ તમામ બાળ-બાલિકા કાર્યકરો અને વાલીઓને સંબોધીને એક પત્ર પણ લખ્યો, જેના શબ્દે શબ્દે તેઓનો રાજીપો છલકાઈ રહ્યો છે.
ગુરુહરિ મહંતસ્વામી મહારાજે વરસાવેલી રાજીપાની લ્હાણીનો લાભ માણી સૌ કાર્યકરો તૃપ્ત થયા હતા.
મિશન રાજીપો અભિવાદન મહોત્સવનું મુખ્ય સોપાન એટલે ૨૯ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ યોજાયેલ ‘મિશન રાજીપો બાળવિદ્વાન અભિવાદન સમારોહ’.
જે ગુરુહરિ મહંતસ્વામી મહારાજને રાજી કરવા માટે બાળ-બાલિકાઓ છેલ્લા એક વર્ષથી થનગની રહ્યા હતા, તે તમામ બાળકો ઘરે-ઘરે આ અભિવાદન સભાની તૈયારી કરીને બેઠા હતા. સૌએ પોતાનું ઘર શણગાર્યું હતું; આંગણામાં રંગોળીઓ પૂરાઈ હતી; સત્સંગદીક્ષાના તોરણો લાગ્યાં હતાં; ઘરોઘર ઉત્સવનો માહોલ હતો. બાળ-બાલિકાઓ અને તેમના વાલીઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ હતા. જેમણે મુખપાઠ કર્યો હતો તેમના માટે સુશોભિત બેઠક તૈયાર કરવામાં આવી હતી. સૌએ પોતાનાં સગાં-સંબંધી, મિત્રો, પડોશીઓ, શિક્ષકોને પોતાના ઘરે આમંત્રણ આપ્યું હતું. આ તૈયારી સાથે સૌ ગુરુહરિ મહંતસ્વામી મહારાજનાં દર્શનની પ્રતીક્ષામાં બેઠાં હતાં.
જેમ સૂર્ય ઊગે અને તમામ સૂર્યમુખીઓ ખીલી ઊઠે તેમ ગુરુહરિ મહંતસ્વામી મહારાજનું આ અભિવાદન સભામાં આગમન થતાં જ સૌ બાળ-બાલિકાઓના ચહેરા ખીલી ઊઠ્યા. આજની સભાનો મધ્યવર્તી વિચાર જ સૂર્ય અને સૂર્યમુખીને સંબંધિત હતો. જેમ સૂર્યમુખીઓની નજર સૂર્ય સમક્ષ જ રહે છે, જે બાજુ સૂર્ય જાય તે બાજુ સૂર્યમુખીઓ ફરે છે… તે જ રીતે સૂર્યમુખી સમાન ૧૫,૬૬૬ બાળસૂર્યમુખીઓએ સમગ્ર વર્ષ દરમિયાન ગુરુહરિ મહંતસ્વામી મહારાજ સમક્ષ જ નજર રાખી સત્સંગદીક્ષાનો મુખપાઠ પૂર્ણ કર્યો હતો.
આજની સભામાં સૂર્યમુખી વેશે જ બાળકોએ સ્વામીશ્રીનું સ્વાગત નૃત્યાંજલિ દ્વારા કર્યું હતું. સૂર્યમુખી અને પતંગિયાં બનેલા બાળકોએ સમગ્ર વર્ષ દરમિયાન બાળ-બાલિકાઓએ કરેલા અથાગ પુરુષાર્થની ગાથાને વિવિધ માધ્યમથી રજૂ કરી હતી. નાના-નાના શિશુઓએ પોતાની કાલીઘેલી ભાષામાં સ્વામીશ્રી સમક્ષ શિશુઓએ કરેલા પુરુષાર્થને પણ રસપ્રદ રીતે દર્શાવ્યો હતો. સ્વામીશ્રી આ તમામ રજૂઆત ખૂબ જ રસપૂર્વક સાંભળી રહ્યા હતા. એ જ વખતે સ્વામીશ્રી સમક્ષ ૩ નાના શિશુઓ – અમદાવાદના હરિકૃષ્ણભાઈ ગોવાણી, સુરતના પરમભાઈ વાઘેલા અને મુંબઈના નીલકંઠભાઈ યાદવ – ને વિશિષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યા. આ શિશુઓની ઉંમર હતી માત્ર ૨ વર્ષ અને ૧૦ મહિના!!! એ જ રીતે આણંદની હરિપ્રિયા મારુ નામની બાલિકાએ માત્ર ૩ વર્ષની નાની ઉંમરે મુખપાઠ કર્યો હતો, તેની વાત પણ રજૂ કરવામાં આવી. BAPS સંસ્થાના સૌથી નાની વયનાં આ શિશુવિદ્વાનોએ કરેલા મુખપાઠની વાત જાણી સ્વામીશ્રી અત્યંત પ્રસન્ન થયા હતા.
તમામ બાળકોમાંથી કેટલાક પ્રતિનિધિ બાળકોના વાલીઓ, કાર્યકરોએ સત્સંગદીક્ષા મુખપાઠથી બાળકોને થયેલા લાભની વાત જણાવી હતી.
- સત્સંગદીક્ષાના મુખપાઠથી બાળકો અને વાલીઓ, સાથે સમય પસાર કરતા થયા; બાળકો માતા-પિતાને પ્રણામ કરતા થયા, વાલીઓની આજ્ઞા પાળતા થયા… આ તમામના કારણે પરિવારના સંબંધો મજબૂત બન્યા.
- સંસ્કૃત શ્લોકના મુખપાઠને કારણે બાળકોની એકાગ્રતા, યાદશક્તિ, સ્મરણશક્તિ અને સમજણશક્તિમાં વધારો થયો. જેના કારણે હજારો બાળકોના શાળાના પરિણામમાં નોંધપાત્ર વધારો થયો. બાળકોની આંતરિક શક્તિઓનો વિકાસ થયો.
- સત્સંગદીક્ષામાં સૂચવવામાં આવેલા અહિંસા, પ્રામાણિકતા, વ્યસનમુક્તિ, નિયમપાલન વગેરે અનેક માનવીય મૂલ્યો આ બાળકોએ પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યાં. એટલું જ નહીં, તેઓ અન્યને પણ પ્રેરણા આપતા થયા.
- સનાતન મૂલ્યો, અવતારો, ઋષિમુનિઓ, શાસ્ત્રો, દેવભાષા સંસ્કૃત પ્રત્યે આદરની ભાવના વધી. જેના કારણે સમગ્ર સમાજની આવતીકાલના એક મજબૂત અને મૂલ્યનિષ્ઠ પાયાનું બંધારણ થયું.
આવા અનેક મૂલ્યો અને સંસ્કારોથી સમૃદ્ધ થયેલાં આ બાળ-બાલિકાઓએ સત્સંગદીક્ષાનો મુખપાઠ શા માટે કર્યો હતો? કારણ, તેમના અંતરમાં એક જ વાત હતી, ‘ગુરુહરિ મહંતસ્વામી મહારાજનો રાજીપો મેળવવો છે.’
તેઓના અંતરની આ વાત સ્વામીશ્રી પણ જાણતા હતા. તેથી આજે અભિવાદન સમારોહના દ્વિતીય ચરણમાં સ્વામીશ્રીએ હવે બાળ-બાલિકાઓનું અભિવાદન કરવાનું શરૂ કર્યું. આ માટે સ્વામીશ્રી પાસે મુખપાઠ કરેલ તમામ બાળ-બાલિકાઓનાં નામથી અંકિત થયેલ સૂર્યમુખીનું પુષ્પ લાવવામાં આવ્યું. જેને નામ આપવામાં આવેલું, ‘મુખપાઠ મુક્ત.’
સ્વામીશ્રીએ સૌપ્રથમ ‘મુખપાઠ મુક્ત’ને ચંદનનો ચાંદલો કરી, ચોખા ચોડી અને અર્ચા કરી. આ ચંદનની વિશેષતા એ હતી કે અગાઉથી જ તારીખ ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ મહેસાણામાં તમામ બાળકોને વધાવવા માટે ગુરુહરિ મહંતસ્વામી મહારાજે જાતે આ ચંદન ઘસ્યું હતું!!! તેઓની સાથે સંસ્થાના તમામ સંતોએ પણ બાળકો માટે ચંદન ઘસી, ચંદનની ગોટી તૈયાર કરી હતી, જે ઘરોઘર પહોંચાડવામાં આવી હતી. સ્વામીશ્રીની સાથે ઘરોઘર ઓનલાઈન માધ્યમથી જોડાયેલા વાલીઓએ પોતાના સંતાનોને સ્વામીશ્રી વતી ચંદનનો ચાંદલો અને અર્ચા કર્યાં.
ત્યારબાદ સ્વામીશ્રીએ તમામ બાળ-બાલિકાઓ વતી ‘મુખપાઠ મુક્ત’ને ઉપવસ્ત્ર ઓઢાડ્યું. આ સાથે જ સ્વામીશ્રીના મુખેથી ઐતિહાસિક ઘોષણા પણ ગુંજી ઊઠી, ‘સત્સંગદીક્ષા ગ્રંથના સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ કરનાર તમામ બાળ-બાલિકાઓને આજથી ‘અક્ષરપુરુષોત્તમના વિદ્વાન’ ઘોષિત કરવામાં આવે છે!’ તમામ બાળવિદ્વાનો આ સાંભળી મલકી ઊઠ્યા. સ્વામીશ્રીએ તરત જ હાથમાં કલાત્મક હાર લીધો અને આ તમામ બાળવિદ્વાનોને હાર પહેરાવતા હોય તેમ સ્ક્રીન સામે હાર દર્શાવ્યો. ઘરોઘર સ્વામીશ્રી વતી તમામ વાલીઓએ બાળકોને ઉપવસ્ત્ર અને હાર અર્પણ કર્યાં.
અભિવાદન બાદ બાળકોએ સ્વામીશ્રી પાસે ગિફ્ટની માંગણી કરી. આજે સ્વામીશ્રી આ તમામ બાળકો માટે વિશિષ્ટ ગિફ્ટ લઈને આવ્યા હતા. આ ગિફ્ટની તૈયારી સ્વામીશ્રીએ ઘણા સમય પહેલાથી શરૂ કરી દીધી હતી. સ્વામીશ્રીએ જાતે ચિત્રોમાં રંગો પૂરી, લખાણ લખી, ડિઝાઈન સૂચવીને એક સુંદર પુસ્તિકા તૈયાર કરી હતી, જેનું નામ પણ સ્વામીશ્રીએ જાતે જ સૂચવ્યું હતું, ‘Heartbook!’ સ્વામીશ્રીએ અનેક સંસ્થાકીય પ્રવૃત્તિઓની વચ્ચે, જયપુર-જોધપુરના વિચરણ દરમિયાન, ૯૨ વર્ષની જૈફ વયે બાળકો માટે વર્ષો સુધી માર્ગદર્શન આપતી રહે એવી આ ‘હાર્ટબુક’ તૈયાર કરી હતી. તેઓની આ અણમોલ ભેટ પામી તમામ બાળવિદ્વાનો ધન્ય થયા હતા.
પરંતુ હજુ સ્વામીશ્રીની કૃપાવર્ષાની લ્હાણી પૂરી થઈ નહોતી. સ્વામીશ્રી સમક્ષ પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી આવી પહોંચ્યા. તેઓએ સ્વામીશ્રીનો આ બાળવિદ્વાનો પર કેવો રાજીપો છે, તે વર્ણવવાનું શરૂ કર્યું. તેમણે જણાવ્યું…
- તારીખ ૨૨ ઓક્ટોબર ૨૦૨૫, દિવાળીના દિવસે ગુરુહરિ મહંતસ્વામી મહારાજ સાક્ષાત્ સ્થાન અક્ષરદેરીમાં આવી પહોંચ્યા હતા. સ્વામીશ્રીએ થોડા દિવસ પહેલાં, મુખપાઠ કરનારા તમામ બાળ-બાલિકાઓનાં નામનું એક પુસ્તક જાતે તૈયાર કરાવ્યું હતું. તે પુસ્તકનું નામ પણ સ્વામીશ્રીએ સ્વહસ્તે જ લખ્યું હતું – ‘મારું મુખપાઠ મંડળ!’ સ્વામીશ્રીએ પોતાના મુખપાઠ મંડળના સભ્યોનાં નામનું આ પુસ્તક અક્ષરદેરીમાં પ્રસ્થાપિત ચરણારવિંદ પર જાતે પધરાવ્યું! એ વખતે તેઓએ અંતરના ભાવથી અક્ષરપુરુષોત્તમ મહારાજ સમક્ષ પ્રાર્થના રજૂ કરી.
પ્રાર્થના રજૂ કર્યા બાદ, સૌનાં આશ્ચર્ય વચ્ચે સ્વામીશ્રીએ બાળ-બાલિકાઓનાં નામ લખેલું પુસ્તક પોતાને માથે ચડાવ્યું! સૌ સંતોને પણ તેને માથે ચડાવવાની આજ્ઞા કરી! સ્વામીશ્રી જાણે તમામ ‘અક્ષરપુરુષોત્તમના વિદ્વાનો’ને ભેટતા હોય તેવી ભાવના સાથે આ પુસ્તકને પ્રેમથી ભેટ્યા. આમ, સ્વામીશ્રીએ પોતાનો રાજીપો દિવાળીના દિવસે વ્યક્ત કર્યો.
- ગુરુહરિ મહંતસ્વામી મહારાજ નવા વર્ષથી દરરોજ મુખપાઠ કરેલા બાળ-બાલિકાઓના વિશિષ્ટ પ્રસંગોનું શ્રવણ કરી તેના આધારે સેવક સંતો સાથે દરરોજ ગોષ્ઠી કરતા હતા. આવી જ એક ગોષ્ઠી તારીખ ૨૬ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ રાત્રે યોજાઈ. બાળ-બાલિકાઓના અદ્ભુત પ્રસંગો સાંભળી સ્વામીશ્રી ખૂબ જ ભાવમાં આવી ગયા હતા. પ્રસંગો સાંભળી તેઓ લઘુ કરવા માટે જતા હતા, ત્યાંથી પાછા ફર્યા. સૌ સંતોને કુતૂહલ થયું કે સ્વામીશ્રી પાછા કેમ આવ્યા હશે? ત્યારે સ્વામીશ્રીએ પોતાના અંતરની ભાવના વ્યક્ત કરતાં કહ્યું, ‘મારે અક્ષરદેરીની પ્રદક્ષિણાનું પુણ્ય આ બાળકોને આપવું છે!’
સ્વામીશ્રીની અંતરની આ ભાવના સાંભળી સભામાં ઉપસ્થિત સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા! સ્વામીશ્રીએ આ બાળવિદ્વાનોને પોતે અક્ષરદેરીમાં કરેલી તમામ પ્રદક્ષિણાનું પુણ્ય રાજીપા રૂપે અર્પણ કર્યું હતું! સૌ કોઈની આંખો આ અકલ્પ્ય ભેટ પામીને ભાવાર્દ્ર બની ગઈ હતી.
સ્વામીશ્રીએ ત્યારબાદ સૌ બાળવિદ્વાનોને સ્વહસ્તે લખેલા પત્ર દ્વારા આશીર્વાદ આપ્યા.
ગુરુહરિ મહંતસ્વામી મહારાજના આશીર્વાદ બાદ પ્રવક્તા બાળકોએ સ્વામીશ્રીનો ઋણ સ્વીકાર કરી અંતરની પ્રાર્થના વ્યક્ત કરી હતી. અને સભાના અંતમાં ઘરે ઘરેથી બાળવિદ્વાનોએ આરતી અને પુષ્પાંજલિ દ્વારા સ્વામીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આમ, ગુરુહરિ મહંતસ્વામી મહારાજના દિવ્ય સંકલ્પની પરિપૂર્તિ કરનારો… ‘બાળવિદ્વાન અભિવાદન મહોત્સવ’ ભવ્યતા અને દિવ્યતાથી સંપન્ન થયો. આ મહોત્સવના દૂરગામી પરિણામો ભવિષ્યમાં સમગ્ર વિશ્વ જ્યારે અનુભવશે ત્યારે ગુરુહરિ મહંતસ્વામી મહારાજે કરેલા આ ઐતિહાસિક યુગકાર્યની અંતરથી અભિવંદના કરતા જ રહેશે…

 


© 1999-2026 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS