પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 16-4-2010, ગાંધીનગર
વિધાનસભાના સ્પીકર શ્રી અશોકભાઈ ભટ્ટ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. વૉટર શૉ નિહાળીને તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. વૉટર શૉનો પ્રતિભાવ આપતાં તેઓ કહે : ‘આપે વૈદિક કાળના નચિકેતાને ફરીથી જીવંત કરી દીધો. વિજ્ઞાનનો ધર્મ માટેનો ઉપયોગ વેદકાળમાં થયો હતો, ત્યારપછી પહેલી વાર 21મી સદીમાં આપે કર્યો. વચ્ચે વિજ્ઞાન અને ધર્મ એ બંને પાંખ જુદી જુદી થઈ ગઈ હતી. આપે એનો સમન્વય કરી દીધો. બંનેને ભેગા કરીને જીવન જીવવાની કળા શિખાય અને વળી મનોરંજન નહીં, પણ નિજાનંદ મળે એવું આપે સુંદર કાર્ય કર્યું છે. ઉદ્ઘાટનના દિવસે હું હતો. આ વૉટર શૉ જોઈને મારી આંખમાં આંસુ આવી ગયાં હતાં.’
સ્વામીશ્રી કહે : ‘ભગવાનની ઇચ્છાથી આ બધા સંતોને ઇચ્છા થઈ.’
અશોકભાઈ કહે : ‘સંતોમાં પ્રેરણા કરનાર તો આપ જ છો ને ! વૈજ્ઞાનિકોને બોલાવીને વ્યવસ્થા કરવી એ આપનું કાર્ય છે. આપનું આ કાર્ય જોઈને બાકીના બધા જ ધર્મો-સંપ્રદાયો હવે એમ વિચારે છે કે આપણે અક્ષરધામ જેવું શું કરી શકીએ ? આપે આ રીતે એક સુંદર ક્રાંતિ કરી છે. શ્રીજીમહારાજનો પ્રભાવ હતો એવો આપનામાં દેખાય છે. જેમ શ્રીજીમહારાજે કાઠીઓમાં રહીને કાઠીઓમાં સત્સંગ કરાવ્યો એ અઘરું હતું, એમ આપે દરિયાની પાર હિન્દુ સંસ્કૃતિને જીવતી કરી ને બધાનો સદ્ભાવ પેદા કર્યો. બે વચ્ચેની સમાનતા જ છે.’
સ્વામીશ્રી કહે : ‘જોગીબાપા(યોગીજી મહારાજ)નો સંકલ્પ, શ્રીજીમહારાજના આશીર્વાદ. જોગીબાપા તો કાયમ ધૂન કરતા કે બ્રહ્માંડમાં સત્સંગ થાય. એટલે એમના સંકલ્પથી પ્રેરણા થાય છે.’
અશોકભાઈ ભટ્ટ તો વળી ગુણગાન ગાવામાં જ નિમગ્ન હતા. તેઓ કહે : ‘ટેમ્પલ મૅનેજમેન્ટ નામનો એક નવો વિષય આપે આપ્યો છે. હું તો માનું છું કે આપના ઉપર એક આખો ગ્રંથ બનવો જોઈએ. આપ જ કંઈક સમાજને પ્રેરણા આપો.’
વળી, તેઓ કહે : ‘હું અતિશયોક્તિ સાથે કહેતો નથી, પણ શ્રીજીમહારાજના વખતમાં જે કંઈ હતું એ અત્યારે દેખાય છે. ધર્મની સાથે વિજ્ઞાન, ચારિત્ર્ય, આરોગ્ય-સેવા, સમાજ-સેવા, આધ્યાત્મિકતા એ બધું જ અત્યારે દેખાય છે.’
Vachanamrut Gems
Gadhadã III-27:
The Essential Obstinacy
“… The obstinacy of observing religious vows is as essential as one’s own life; it is extremely beneficial…”
[Gadhadã III-27]