પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 20-7-2010, દિલ્હી - બોચાસણ
સ્વામીશ્રી દિલ્હીથી વિદાય લઈને વડોદરા જઈ રહ્યા હતા. વિમાનમાં કેટલાક હરિભક્તો સાથે હતા. આ હરિભક્તોને સ્વામીશ્રી વારાફરતી મળતા હતા. આ હરિભક્તો પૈકી મળવા આવેલા નીરજ તન્ના સ્વામીશ્રીને કહે : ‘જે કંઈ છે એ આપને લીધે છે એમ હું માનું છું. બસ, હવે આપણી પ્રીત ન તૂટે એવા આશીર્વાદ આપજો.’
સ્વામીશ્રી કહે : ‘એ તો તારે જોવાનું છે ને !’
નીરજ તન્ના કહે : ‘પણ હાથ તમારે પકડી રાખવાનો છે ને !’
સ્વામીશ્રી કહે : “ગમે તેમ થાય, આપણા નિયમ-ધર્મ પાકા જ રહેવા જોઈએ. ‘ભગવાન બધું જુએ છે’ એમ અંતર્યામી માનીને જીવન જીવવું. ખાવા-પીવામાં કે ક્યાંય આઘુંપાછું ન થવું જોઈએ.”
એ જ રીતે હરીશભાઈ ભૂપતાણી દર્શને આવ્યા. તેઓ કહે : ‘અમારા ઘરમંદિરમાં અમે રોજ થાળ કરીએ છીએ, તો અત્યારે આપ જેવી રીતે જમો છો એ જ રીતે અંગીકાર કરો છો ને ?’
સ્વામીશ્રી કહે : ‘ભગવાન જમે જ છે. ભલે દેખાય નહીં, પણ જમે જ છે. જો આ વાત ન સમજીએ તો નાસ્તિકભાવ આવી જાય.’
વળી, હિતેશ કોન્ટેક્ટ (વોશિંગ્ટન) દર્શને આવ્યા. હિતેશ કહે : ‘અમારો સંકલ્પ તો એ છે કે આપને સોને મઢવા છે.’
સ્વામીશ્રી કહે : ‘સાધુને તો શ્રીજીમહારાજે નિષેધ જ કર્યો છે. આપણને સાધુને તો એવું કાંઈ હોય જ નહીં. ભગવાનને મઢીએ એટલી આપણી શોભા.’
હિતેષ કહે : ‘ભગતજી મહારાજ કહેતા કે જો મને સોને મઢવો હોય તો દરેક હરિભક્તનો મહિમા સમજો.’
સ્વામીશ્રી કહે : ‘બસ, એ બરાબર છે. બધાનો મહિમા સમજીને કામ કરવું. જે બધાનો મહિમા સમજશે એ મારી પાસે આવશે. નાના-મોટા બધાનો મહિમા સમજવો. એ બધું સમજાય તો અહમ્ રહે નહીં.’
હિતેષ કહે : ‘મારો તો સંકલ્પ છે કે ચાણસદ આખું ગામ ખરીદી લેવું છે.’
સ્વામીશ્રી કહે : ‘એ બધું રહેવા દે. અહીં (અંતરમાં) જેટલો સત્સંગ થાય એટલો દુનિયાને થઈ ગયો. જોડા પહેરી લેવા. એમાં બધું આવી ગયું. એમાં શ્રીજીમહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને બધા મુક્તો આવી ગયા. સંતો-હરિભક્તો બધા એમાં આવી ગયા.’
છેલ્લે ઘનશ્યામ રામપરિયા આવ્યા. સ્વામીશ્રીને કહે : ‘આપની દયાથી જ મોટા ધંધા છે. હવે સત્સંગ- પ્રધાન થઈએ એવા આશીર્વાદ આપો.’
સ્વામીશ્રી કહે : ‘બહાર હરીએ-ફરીએ, બહાર ધંધા માટે જવાનું થાય, પણ સત્સંગ હંમેશાં પ્રધાન રાખવો. બુદ્ધિ સારી રહે, નિયમ-ધર્મની દૃઢતા રહે એ આશીર્વાદ છે.’
આ રીતે સાથે આવેલા તમામ હરિભક્તોને સ્વામીશ્રીએ અદ્ભુત સ્મૃતિલાભ અને પ્રેરણા આપ્યાં.
સ્વામીશ્રી જમીન ઉપર હોય કે આસમાનમાં, ભગવાનના ગુણ ગાયા વગર રહી શકતા નથી. તેઓની આ પરમ આસક્તિ અને કરુણા છે.
Vachanamrut Gems
Gadhadã II-46:
Result of aversion to God or His Sant...
“… However, one who bears an aversion towards God or His Sant will certainly not attain the abode of God…”
[Gadhadã II-46]