યુવા પ્રવૃત્તિ ષષ્ટિપૂર્તિ મહોત્સવ નિમિત્તે ફેબ્રુઆરી-માર્ચ માસમાં તમામ યુવા ક્ષેત્રોમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં સૌ યુવકો/યુવતિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઓછામાં ઓછું ૧૦ કિ.મી. જેટલું અંતર દરેક પદયાત્રા માટે રાખવામાં આવ્યું હતું. પદયાત્રાનો પ્રારંભ મહારાજ-સ્વામીના પૂજનવિધિ અને આરતીથી થતો. વડીલ સંત તેમજ શહેર / ગામના અગ્રણી મહાનુભવ શ્રીફળ વધેરીને પદયાત્રાનો શુભારંભ કરાવતા. તે પહેલાં તમામ પદયાત્રીઓને ચાંદલો તેમજ નાડાછડી બાંધવામાં આવતી.

ષષ્ટિપૂર્તિ મહોત્સવનું બેનર લઈને બે યુવકો/યુવતિઓ સૌથી આગળ ચાલતા. તેની પાછળ ધજા પકડીને બે યુવકો/યુવતિઓ ચાલતા. ત્યારબાદ ઠાકોરજીનો રથ રહેતો, જેમાં 'સ્વામિનારાયણ' મંત્રગાનની સીડી ગૂંજતી. સૌ પદયાત્રીઓ તાળી પાડતાં પાડતાં, ધૂનગાન કરતાં કરતાં ચાલતાં.

પદયાત્રામાં રસ્તામાં આવતાં ગામમાં પદયાત્રી યુવકો/યુવતિઓનું સ્વાગત થતું. ગામની મુખ્ય બજારમાં સૌ પદયાત્રી ધૂનગાન કરતાં કરતાં અને ષષ્ટિપૂર્તિ મહોત્સવનો જયઘોષ કરતાં નીકળતાં.

પદયાત્રાના ગંતવ્ય સ્થળે પણ સૌ પદયાત્રીઓનું ઉષ્માભેર સ્વાગત થતું. મોટેભાગે આપણા જ પ્રસાદીભૂત સ્થાને આ પદયાત્રા વિરમતી. સૌ યુવકો/યુવતિઓ ભક્તિભાવપૂર્વક ઠાકોરજીનાં દર્શન-દંડવત્‌ કરતાં અને જીવનમાં ભક્તિભાવ વિશેષ દૃઢ થાય, પ્રમુખસ્વામી મહારાજને રાજી કરી શકાય તેવી ગદ્‌ગદ્‌ભાવે પ્રાર્થના કરતા.

આમ, પદયાત્રાના આયોજન દ્વારા યુવકો/યુવતિઓને ખૂબ જ આનંદ આવ્યો, વિશેષ ભજન-ભક્તિ કરવાની પ્રેરણા મળી.

સુરત – તા.4/3/2012 થી તા.7/3/2012 દરમ્યાન સુરતના યુવકોની ભવ્ય પદયાત્રાનું (જૂનાગઢ થી ધારી) આયોજન કરવામાં આવ્યું હતું. તા.4/3ના રોજ સુરત શહેરના 560 યુવકો બસ દ્વારા ગોંડલ પહોંચ્યા. તા.5/3ના રોજ સવારે અક્ષરદેરીમાં દશર્ન-દંડવત્ કર્યા. સદગુરુ સંત પૂ. મહંત સ્વામી તથા વડીલ સંત પૂ.ઘનશ્યામચરણ સ્વામીએ પદયાત્રા સુખરૂપે પૂર્ણ થાય તે માટે સૌ યુવકોને શુભેચ્છા પાઠવી, સાથે સાથે મંદિરની પ્રદક્ષિણા પણ કરી.

ગોંડલથી સૌ યુવકો બપોરે જૂનાગઢ પહોંચ્યા. સાંજે 4.00 વાગે જૂનાગઢ મંદિરેથી પદયાત્રાનો પ્રારંભ થયો. જૂનાગઢના મુખ્ય માર્ગ પર સૌ યુવકો ધૂન-ગાન કરતાં કરતાં નીક્ળ્યા, જેમાં પ્રથમ ઠાકોરજીનો મયૂરરથ અને 100 ધ્વજધારી યુવકો હતા. જૂનાગઢ થી ધારી 75 કિ.મી. લાંબી આ પદયાત્રામાં સુરત મંદિરના કુલ 10 સંતો પણ સામેલ થયા હતા.

તા. 7/3/2012ના રોજ બપોરે સૌ પદયાત્રી યુવકો યોગીજી મહારાજના જન્મસ્થાન ધારી મુકામે પહોંચ્યા. યોગીજી મહારાજના જન્મસ્થળે, પ્રાસાદિક સ્થાને તેમજ મંદિરે દર્શન કરીને યુવકોએ પદયાત્રાની પૂર્ણાહૂતિ કરી.

75 કિ.મી લાંબી પદયાત્રા કરીને સુરતના યુવકોએ ષષ્ટિપૂર્તિ મહોત્સવે પૂ. યોગીજી મહારાજને હૃદયપૂર્વક ભાવાંજિલ અર્પણ કરી.

સુરત શહેરની 400 યુવતીઓએ વેકરિયાથી ધારી 13 કિ.મી.ની પદયાત્રા કરીને યોગીબાપાનાં ચરણોમાં પોતાની ભાવાંજલિ અર્પી હતી.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS