યુવા પ્રવૃત્તિ ષષ્ટિપૂર્તિ મહોત્સવ નિમિત્તે ફેબ્રુઆરી-માર્ચ માસમાં તમામ યુવા ક્ષેત્રોમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં સૌ યુવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઓછામાં ઓછું ૧૦ કિ.મી. જેટલું અંતર દરેક પદયાત્રા માટે રાખવામાં આવ્યું હતું. પદયાત્રાનો પ્રારંભ મહારાજ-સ્વામીના પૂજનવિધિ અને આરતીથી થતો. વડીલ સંત તેમજ શહેર / ગામના અગ્રણી મહાનુભવ શ્રીફળ વધેરીને પદયાત્રાનો શુભારંભ કરાવતા. તે પહેલાં તમામ પદયાત્રીઓને ચાંદલો તેમજ નાડાછડી બાંધવામાં આવતી.

ષષ્ટિપૂર્તિ મહોત્સવનું બેનર લઈને બે યુવકો સૌથી આગળ ચાલતા. તેની પાછળ ધજા પકડીને બે યુવકો ચાલતા. ત્યારબાદ ઠાકોરજીનો રથ રહેતો, જેમાં 'સ્વામિનારાયણ' મંત્રગાનની સીડી ગૂંજતી. સૌ પદયાત્રીઓ તાળી પાડતાં પાડતાં, ધૂનગાન કરતાં કરતાં ચાલતાં.

પદયાત્રામાં રસ્તામાં આવતાં ગામમાં પદયાત્રી યુવકોનું સ્વાગત થતું. ગામની મુખ્ય બજારમાં સૌ પદયાત્રી ધૂનગાન કરતાં કરતાં અને ષષ્ટિપૂર્તિ મહોત્સવનો જયઘોષ કરતાં નીકળતાં.

પદયાત્રાના ગંતવ્ય સ્થળે પણ સૌ પદયાત્રીઓનું ઉષ્માભેર સ્વાગત થતું. મોટેભાગે આપણા જ પ્રસાદીભૂત સ્થાને આ પદયાત્રા વિરમતી. સૌ યુવકો ભક્તિભાવપૂર્વક ઠાકોરજીનાં દર્શન-દંડવત્‌ કરતાં અને જીવનમાં ભક્તિભાવ વિશેષ દૃઢ થાય, પ્રમુખસ્વામી મહારાજને રાજી કરી શકાય તેવી ગદ્‌ગદ્‌ભાવે પ્રાર્થના કરતા.

આમ, પદયાત્રાના આયોજન દ્વારા યુવકોને ખૂબ જ આનંદ આવ્યો, વિશેષ ભજન-ભક્તિ કરવાની પ્રેરણા મળી.

તા.૫-૨-૧૨ના રોજ ભાવનગરના યુવકોની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગતજી મહારાજના પ્રસાદીસ્થાન ભાદરોડથી તેમના પ્રાગટ્ય સ્થાન મહુવા સુધી આ પદયાત્રા યોજાઈ હતી, જેમાં ૧૬૦ યુવકો, ૧૦ કાર્યકરો અને ૪ સંતો સામેલ થયા હતા. સૌ યુવકો વહેલી સવારે ૫.૩૦ વાગે ભાવનગરથી નીકળીને ભાદરોડ પહોંચ્યા. ભાદરોડથી પદયાત્રાનો આરંભ કર્યો. ત્યાંથી મહુવા ૧૫ કિ.મી. દૂર છે. ૧૫ કિ.મી.નું અંતર કાપીને સૌ યુવકો મહુવા પહોંચ્યા ત્યારે તમનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું. મહુવા ગામમાં પણ યુવકો ધૂનગાન કરતાં કરતાં નીકળ્યા. ત્યારબાદ ભગતજી મહારાજની પ્રસાદીની દેરી, જ્યાં તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા, ત્યાં સૌ યુવકોએ દર્શન-દંડવત્‌ કર્યા. પછી ભગતજી મહારાજના પ્રાગટ્ય સ્થાનનાં દર્શન કરીને નૂતન નિર્માણાધીન શિખરબદ્ધ મંદિરે સૌ યુવકો પહોંચ્યા. મહુવા સ્થિત સંતોએ સૌ યુવકોને પ્રેમપૂર્વક આવકાર્યા. મધ્યાહ્‌ન ભોજન લઈને સૌ યુવકો ભાવનગર પરત ફર્યા હતા. 

નીંગાળા થી ગઢડા ૧૬ કિ.મી.નું અંતર સૌ યુવતિઓએ મહારાજ-સ્વામીની સ્મૃતિ સહિત ધૂનગાન કરતાં કરતાં કાપ્યું.

આ પદયાત્રામાં ભાવનગરની ૧૪૦ યુવતિઓએ  જોડાઇ હતી.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS