પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
ગોંડલ રહેતા હરિભક્ત શ્રીકૃષ્ણ પંડ્યા દર રવિવારે સ્વામીશ્રી જ્યાં હોય ત્યાં દર્શને આવે છે. ગઈકાલે રાતે જ તેઓ એસ.ટી. બસમાં તારાપુર થઈને અહીં આવવા નીકળ્યા. રાતના 2:00 વાગે તારાપુર ચોકડીએ પહોંચ્યા. ત્યાંથી એમને બોચાસણ આવવાનું હતું, પરંતુ અડધી રાત્રે ખાનગી વાહનો પણ અજાણ્યા મુસાફરને લિફ્્ટ ક્યાંથી આપે ? વળી, ત્યાં જે કોઈ એસ. ટી. બસ ઊભી રહેતી એ સૌને તેઓ કહેતા કે ‘મારે બોચાસણ ઊતરવું છે અને હું પ્રમુખસ્વામી મહારાજનાં દર્શને આવ્યો છું,’ પરંતુ અન્ય રૂટની બસ હોઈ એ દ્વારા બોચાસણ જઈ શકાય તેમ નહોતું.
એમાં વળી એક બસ આવી. તેમણે કંડક્ટરને આ જ વાત કરી કે ‘મારે બોચાસણ ઊતરવું છે અને મારે પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન કરવાં છે.’ તેઓના કપાળ ઉપરનો તિલક-ચાંદલો જોઈને કંડક્ટરે તેઓને અંદર લઈ લીધા. આ બસ એક્સપ્રેસ હતી. એટલે આમ તો બોચાસણ ઊભી જ ન રહે, છતાં આ કંડક્ટરે સદ્ભાવથી તેઓને લીધા અને બોચાસણ આવ્યું ત્યારે બસને ઊભી રખાવી.
પંડ્યા સાહેબે તેઓનો આભાર માની પૂછ્યું : ‘તમે કયા સદ્ભાવથી મને સહકાર આપ્યો ?’
ત્યારે પેલા કંડક્ટરે કહ્યું કે ‘તમે પ્રમુખસ્વામી મહારાજનું નામ દીધું એટલે જ મેં તમને અંદર બસમાં બેસવા દીધા. આમ તો હું મુસલમાન છું. પાવીજેતપુર બાજુનો છું. જ્યારે જ્યારે પ્રમુખસ્વામી મહારાજ પાવી-જેતપુર પધારે ત્યારે અચૂક એમનાં દર્શને જાઉં છું. મને એમના પ્રત્યે અત્યંત આદર છે. વળી, 1995માં મુંબઈમાં અમૃત મહોત્સવ થયો ત્યારે હું વીસ દિવસ સેવા આપવા પણ ગયો હતો. એટલે પ્રમુખસ્વામી મહારાજનાં દર્શને તમે જતા હો ને હું તમને સહકાર ન આપું એ કેમ બને !’