પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
એક મુમુક્ષુને વ્યવહારમાં પ્રશ્ન આવ્યો હતો. બિલ્ડિંગ ક્ષેત્રે મોટું નામ ધરાવતા તેઓને તેઓની જ સમકક્ષ બિલ્ડર સાથે બહુ મોટો પ્રશ્ન થયો હતો. ધંધાકીય પ્રશ્નમાં ઘણી હેરાનગતિ થાય એમ હતું અને બેમાંથી કોઈપણ પક્ષને જો નુકસાન થાય તો કાયમ પેઢીઓ સુધી વેર ઘૂસી જાય એવી પરિસ્થિતિ હતી. સ્વામીશ્રીને આ વાતનો ખ્યાલ આવતાં સંતો દ્વારા બંનેને ભેગા કરીને સમાધાન કરવાની વાત કરી.
ગઈકાલે સંતોએ બંને પક્ષને બોલાવી રાખ્યા હતા. સ્વામીશ્રી વૉટર શૉ જોઈને ઉતારા તરફ પાછા વળી રહ્યા હતા ત્યારે વૉટર શૉના પરિસરમાં જ આ બંને પક્ષને ભેગા કરીને કહ્યું હતું કે ‘બહુ લાંબું કરવા કરતાં સમાધાન કરી લેજો.’ સ્વામીશ્રીનાં આ વચનોને આધાર બનાવીને પછી સંતોએ આખી રાત વાટાઘાટો કરી. લગભગ સવારે છ વાગ્યા સુધી આ વાટાઘાટો ચાલી અને સવળું પરિણામ લાવ્યા.
અત્યારે સ્વામીશ્રી પાસે બંને પક્ષ આવ્યા હતા. એક પક્ષે કહ્યું : ‘બાપા ! આપનો હુકમ અમે માથે ચઢાવીએ છીએ.’
સ્વામીશ્રી કહે : ‘સારી વાત છે. તમે ભળ્યા અને સમાધાન કર્યું તો હવે બેય સુખી થાવ અને કાયમ આખા પંથકમાં શાંતિ રહે એ આશીર્વાદ છે. સમાધાન કરીએ એમાં સુખ ને શાંતિ રહેશે અને ધંધો પણ સારો ચાલશે. વેર વાળવામાં પેઢીઓની પેઢીઓ ચાલી જાય અને સુખ પણ ન આવે. માટે બેયને આશીર્વાદ છે. બેય ઉપર ભગવાન રાજી થાય. સમાધાન કર્યું છે તો તમને ધન્યવાદ છે, બાકી આ વસ્તુ એવી છે કે વટ ઉપર વાત ચઢે તો વેર પરંપરા સુધી ચાલે.’
પેલા મુમુક્ષુએ કહ્યું : ‘બાપા ! આપે કહ્યું એટલે અમે હવે સમાધાન જ કરીએ છીએ અને હવે પછી કોઈપણ વાત હશે તો એકબીજાને વિશ્વાસમાં લઈને કરીશું.’
સ્વામીશ્રી કહે : ‘અત્યારે તો સમાધાન થયું, પણ ત્યાં ગયા પછી લાગતા-વળગતા લોકો બીજી-ત્રીજી વાતો કરશે, ચઢાવશે પણ ખરા કે ‘એમ સમાધાન ન કરાય,’ પણ બીજા કોઈની વાત હવે સાંભળવી જ નહીં. કહેનારા ઘણું કહેશે, પણ તમે અડગ રહેજો. કોઈ આમ કહે કે તેમ કહે, આપણે માનવું જ નહીં.’
સંતો કહે : ‘બંને જણાને સમાધાન થયું, પણ નીચેના માણસોને પણ થાય એવા આશીર્વાદ આપજો.’
સ્વામીશ્રી કહે : ‘એ બંનેમાં એકતા થશે તો બાકીના નીચેનામાં બધાને થઈ જશે.’
એક મુમુક્ષુ કહે : ‘આપને બહુ તકલીફ આપી.’
સ્વામીશ્રી કહે : ‘તકલીફ કાંઈ જ નથી, બધાએ મનધાર્યું મૂકી દીધું, એમાં અમે રાજી છીએ અને ભગવાન પણ રાજી થયા છે.’
એક મોટા સંભવિત ઝઘડાને સ્વામીશ્રીએ આ દ્વારા નિપટાવીને સમાજમાં શાંતિ સ્થાપી.
Vachanamrut Gems
Vartãl-20:
Spiritual Understanding - The Criteria of Greatness
“… So, being a renunciant or a householder is of no significance; rather, he whose understanding is greater should be known as being a greater devotee than the rest.”
[Vartãl-20]