પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 7-6-2010, લીંબડી
આજે લીંબડીના મંદિરના પરિસરને અડીને લેવાયેલી નવી જમીન પર દૃષ્ટિ કરવા નીકળેલા સ્વામીશ્રીની એક નાની એવી શોભાયાત્રા યોજાઈ ગઈ. નગરના રસ્તા ઉપર થઈને સ્વામીશ્રી શોભાયાત્રા રૂપે મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર આગળ પધાર્યા. આજે આવેલા તમામ નાના-મોટા મુમુક્ષુઓને સ્વામીશ્રીનાં આ વિશિષ્ટ દર્શનની સ્મૃતિ મળી. મંદિર-પરિસરમાં પણ નગરયાત્રા રૂપે ઠેઠ ઉતારા સુધી સ્વામીશ્રી પધાર્યા. અહીં તો સ્વામીશ્રીના રથની ચારે બાજુ ભીડ મચી હતી, પરંતુ આ ભીડની વચ્ચે પણ રાજકોટથી આવેલા એક મુમુક્ષુની ભીડ સ્વામીશ્રીએ ભાંગી.
આ મુમુક્ષુનો ચહેરો રડમસ હતો. તેઓના પુત્ર અને પુત્રવધૂએ રાત્રે કાંઈક ઝઘડો થતાં એકે ગળે ફાંસો બાંધ્યો ને બીજાએ ગોળીઓ લઈ લીધી હતી. જોકે તાત્કાલિક ખબર પડી જતાં પિતાશ્રીએ અસરકારક પગલાં લેતાં બંને જણા બચી જવા પામ્યા હતા, પરંતુ આવાં દુઃખને માથે લઈને રાતોરાત મુસાફરી કરીને આ હરિભક્ત અહીં સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા.
જોગાનુજોગ આજે છેલ્લો દિવસ હતો અને મુલાકાતો રદ હતી, પરંતુ સ્વામીશ્રીએ એવો એક પ્રસંગ ઊભો કર્યો કે આ હરિભક્તની ભીડ ભાંગી ગઈ. ઉતારા આગળ રથમાં બેઠેલા સ્વામીશ્રીને જ્યારે એક સંતે આ સઘળી હકીકતથી વાકેફ કર્યા ત્યારે સ્વામીશ્રી જાતે તેઓની તરફ બેઠાં બેઠાં જ વાંકા વળ્યા અને પેલા દીકરાને બળ આપતાં કહ્યું કે ‘ગમે એવી પરિસ્થિતિ આવે, પરંતુ આવું પગલું લેવું નહીં. મહારાજે રક્ષા કરી છે તો હવે નવું જીવન માનીને જીવનમાં આગળ વધજે અને સમાધાન કરતાં શીખજે.’ એમ કહીને સ્વામીશ્રીએ હાથ લંબાવ્યો અને પેલા યુવકે પણ સ્વામીશ્રી સાથે હાથ મેળવ્યો. સ્વામીશ્રીએ જાણે કે જીવન જીવવાની પ્રતિષ્ઠાનો વિધિ કર્યો.