પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
ભાદરા મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવને સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે કુલ 23 વિભાગોમાં 2,225 સ્વયંસેવકો તથા સ્વયંસેવિકાઓ કાર્યરત હતાં, પરંતુ 1969માં યોગીજી મહારાજે જ્યારે અહીં જ મંદિરની પ્રતિષ્ઠા કરી ત્યારે આવું કોઈ સ્વયંસેવકદળ હતું નહીં. દળ ગણો તોય સ્વામીશ્રીની શ્રીજીમહારાજ પ્રત્યેની શ્રદ્ધા અને બળ ગણો તો પણ સ્વામીશ્રીની શ્રીજી-મહારાજ પ્રત્યેની અતૂટ ભક્તિ અને યોગીજી મહારાજ પ્રત્યેની ગુરુભક્તિ હતાં. એ વખતના સ્વામીશ્રીના પરિશ્રમનો અમૂલ્ય દસ્તાવેજ તેઓએ જ લખેલી ડાયરીઓનાં પાને પાને મળતો રહે છે. ઇતિહાસનું આ સુવર્ણ દસ્તાવેજી પૃષ્ઠ છે.
અહીં થોડાંક એ અસલ પાનાંઓ સ્મૃતિ માટે પ્રસ્તુત છે. સ્વામીશ્રીએ સ્વ-હસ્તાક્ષરમાં કરેલી નોંધને યથાવત્ પ્રસ્તુત કરીને તેની નીચે તે જ વિગતો ટાઈપ કરીને પણ મૂકવામાં આવી છે.
રસોડા વિભાગ :
ભાદરામાં 1969ના પ્રતિષ્ઠા-મહોત્સવ દરમ્યાન અનાજ ઉઘરાવવાથી માંડીને રસોઈની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ સ્વામીશ્રી જાતે નિભાવતા. તા. 26-3-1969ના દિવસે સ્વામીશ્રીએ નોંધ્યું છે :
‘સવારે વાડીમાં ઘઉં જોવા પધાર્યા. પછી મજોઠ ગામે સભા કરી અને ઘઉં-ગોળ-બાજરીનો ખરડો કરીને ડાંગરા થઈને રાજકોટ.’
વળી, ઘનશ્યામપ્રસાદ સ્વામી પોતાનો એક અંગત પ્રસંગ સ્વામીશ્રીની સાધુતા અને માનવીય સંબંધોને જાળવવાની કળાની સ્મૃતિ કરતાં કહે :
‘પ્રતિષ્ઠાના દિવસે 200 હરિભક્તોની ખીચડી મેં બનાવી હતી. ખીચડી બનાવવામાં તુવેરની દાળ પહેલાં પલાળવી જોઈએ એ મને ખ્યાલ નહીં અને મેં બંને એક સાથે મૂકી દીધાં, એટલે ચોખા પહેલાં ઓગળી ગયા અને દાળ એમ ને એમ રહી. એ અરસામાં પ્રમુખસ્વામી મહારાજ ત્યાંથી પસાર થયા. એમણે આ જોયું પણ કાંઈ જ બોલ્યા નહીં. મને એટલું જ કહ્યું કે બીજી દાળ પલાળી લે. પછી પોતે જાતે ઊભા રહીને ખીચડી કેવી રીતે બનાવવી એ શિખવાડ્યું. પહેલાં તુવેરની દાળ નાખવાની. એ અડધી-પડધી ચડી જાય પછી ચોખા નાખવાના. આ બધું જ ઊભા રહીને શિખવાડ્યું. આટલા હરિભક્તોની ખીચડી બગડી તોય મને ઠપકાનો એક શબ્દ પણ ન કહ્યો અને ધીરજ રાખીને પ્રેમથી મને શીખવ્યું. આ વાત મને ઇદમ્ સાંભરે છે.’
આટલી બધી જવાબદારીઓની વચ્ચે રસોડામાં માણસોની જમાડવાની વ્યવસ્થાથી માંડીને પાણીની વ્યવસ્થાની કાર્યવાહી સ્વામીશ્રીએ જાતે જ કરી હતી.
Vachanamrut Gems
Gadhadã II-39:
The Unatonable Sin
“… However, to realise God as being formless is a sin much graver than even the five grave sins. There is no atonement for that sin.”
[Gadhadã II-39]