પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સ્વામીશ્રી ભૂમિભ્રમણ માટે મુલાકાત-કક્ષમાં પધાર્યા. પહેલો તબક્કો પૂરો થયા પછી સ્વામીશ્રી ખુરશી ઉપર વિરાજમાન થયા. રોજ ખુરશીના હાથાને વેલવેટના કાપડથી મઢી દેવામાં આવે છે, પરંતુ આજે એ કાપડ રહી ગયું હતું, એટલે પ્લાસ્ટિકના હાથા દેખાઈ રહ્યા હતા. બે નાના તકિયા બંને બાજુએ મૂકવામાં આવ્યા હતા, જેથી હાથ સારી રીતે ટેકવાય. થોડી વાર પછી સેવકોના ખ્યાલમાં આવ્યું કે ખુરશી ઉપરનું મખમલી આવરણ રહી ગયું છે, એટલે અંદરોઅંદર એ બાબતની વાત થઈ રહી હતી.
એ સાંભળી ગયેલા સ્વામીશ્રી કહે : ‘ખુરશી ઉપરનું કવર રાખવાની જરૂર જ શું છે ? એવો આટાટોપ કરવાની જરૂર નહીં.’
નારાયણચરણ સ્વામી કહે : ‘આપને તો સોને મઢીએ તોય ઓછું છે. યોગીજી મહારાજે તો કહ્યું છે કે ફાસફૂસિયું કરવું જ નહીં, ધામધૂમથી ઊજવવું. આ તો યોગીજી મહારાજની આજ્ઞા છે.’
સ્વામીશ્રી કહે : ‘એય (યોગીજી મહારાજ પણ) ભગવાનની આજ્ઞામાં રહ્યા છે. સોનું ને ઝવેરાત એ બધી ધામધૂમ શું કામની ?’
નારાયણચરણ સ્વામી કહે : ‘યોગીજી મહારાજ કહેતા કે પ્રમુખસ્વામીમાં ને શાસ્ત્રીજી મહારાજમાં રોમનોય ફરક નથી. ને શાસ્ત્રીજી મહારાજની સુવર્ણ મૂર્તિ સોનાના સિંહાસનમાં પધરાવવાની વાત હોય તો આપનું પણ એવું થવું જોઈએ ને !’
સ્વામીશ્રી કહે : ‘એ તો મહિમાની વાત છે. મહિમા સમજવાનો છે, પણ એમની આજ્ઞા પાળવી, એમની રુચિ પાળવી, એ કરવાનું કે નહીં ?’
ત્યાગરત્ન સ્વામી કહે : ‘શાસ્ત્રીજી મહારાજની પસંદ કેવી હોય ? એમની પસંદગી ખોટી હોય જ નહીં. આપ એમની પસંદગી છો.’
સ્વામીશ્રી કહે : ‘એ પણ સાધુરૂપમાં જ રહ્યા છે. એમણે સોનાના શણગાર સજ્યા નથી. એય નિયમમાં રહ્યા છે, એટલે આપણે પણ જરૂર વગરનું કાંઈ જ ન કરવું. ખોટો ખરચો ન કરવો. દેખાવનું ન કરવું. આ બધાની ક્યાં જરૂર છે ? આ કપડું ન હોય તો ન ચાલે ? આ (ભગવાં કપડાં બતાવીને) કપડાં પહેરીએ જ છીએ ને ! એમાં વળી, હીરા-ઝવેરાતની ક્યાં જરૂર ?’
સૌને પ્રતીતિ થઈ કે આ સાધુતા એ જ સ્વામીશ્રીના શણગાર છે.
Vachanamrut Gems
Gadhadã II-6:
The Sticky Nature of the Chitt
"… The nature of the chitt is similar to this; it sticks to whatever object it recalls. In fact, the chitt even attaches itself to things that are utterly insignificant, such as stones, or rubbish, or dog excrement - things in which there is not even the slightest pleasure. If it recalls such useless things, it will then also contemplate upon them. Such is its sticky nature."
[Gadhadã II-6]